અયોધ્યામાં લહેરાયો ભગવો ધ્વજ
શ્રી રામ મંદિરના શિખર પર કરાયું ધ્વજારોહણ
અમદાવાદમાં બન્યા છે ધ્વજ દંડ અને ધ્વજા
પીએમ મોદીના હસ્તે કરાયું ધ્વજારોહણ
પીએમ મોદીએ સૌને પાઠવી આ ક્ષણની શુભેચ્છા
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગની ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી.
અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ દરમિયાન ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીરામ મંદિરમાં અષ્ટોત્તર પૂજન શરૂ કર્યું હતું. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,RSS વડા મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ પહેલા શેશાવતાર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ સપ્તમંદિરની મુલાકાત લીધી, જેમાં મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલ્મીકિ, દેવી અહલ્યા, નિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત મંદિરો આવેલા છે. અયોધ્યા શ્રી રામ મંદિર પહોંચતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું,અને પીએમ મોદીએ આ શુભ અવસરની સૌને શુભેચ્છા પાઠવી હતી.