/connect-gujarat/media/media_files/2025/05/24/QLkdfH8Z4t0DZrkuI07S.jpg)
ગઢચિરોલી જિલ્લામાં મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર શુક્રવારે પોલીસના સ્પેશિયલ કમાન્ડો યુનિટ સી-૬૦ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં ચાર નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા,એમ એક વરિ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ કહ્યું હતું કે કવનડે વિસ્તારમાં તાજેતરમાં ખોલવામાં આવેલા એફઓબી (ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ) નજીક મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર નક્સલવાદી જૂથોની હાજરી અંગે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે ગુરુવારે બપોરે એક ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું.
ભારે વરસાદ વચ્ચે એક ડઝન સી-૬૦ ટુકડીઓ (૩૦૦ કમાન્ડો) અને સીઆરપીએફ ટીમે કવનડે અને નેલગુંડા વિસ્તારોમાં ઇન્દ્રાવતી નદીના કિનારે ઓપરેશન શરૃ કર્યું હતું.
જ્યારે શુક્રવારે સવારે ઘેરાબંધી કરવામાં આવી રહી હતી અને નદી કિનારાઓની શોધખોળ ચાલી રહી હતી, ત્યારે નક્સલવાદીઓએસી-૬૦ કમાન્ડો પર અંધાધૂંધ ગોળીબાર શરૃ કર્યો હતો.સુરક્ષા દળોએ પણ સામે ફાયરિંગ કરી હતી.
તેમણે ઉમેર્યું કે, લગભગ બે કલાક સુધી તેમન વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ રહ્યો હતો.ુરક્ષા દળો દ્વારા વિસ્તારની શોધખોળ દરમિયાન ચાર નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા.
આસિવાય ઘટનાસ્થળેથી એક ઓટોમેટિક સેલ્ફ-લોડિંગ રાઇફલ, બે ૩૦૩ રાઇફલ, એક ગન, વોકી ટોકી, કેમ્પિંગ મટિરિયલ અને નક્સલી સાહિત્ય સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં આ એન્કાઉન્ટર છત્તીસગઢમાં સુરક્ષા દળો દ્વારા તેમના ટોચના નેતા બસવરાજુ સહિત ૨૭ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યાના બે દિવસ પછી થયું છે.
છત્તીસગઢ રાજ્યમાં મોટા પાયે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.છત્તીસગઢ રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશનને કારણે એવી શંકા હતી કે નક્સલીઓ મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોમાં ઘૂસણખોરી કરશે.
આથી ગઢચિરોલી પોલીસે છત્તીસગઢ રાજ્ય સાથેની સરહદ સીલ કરી દીધી હતી. મોટા પાયે નક્સલી શોધ અભિયાન હાથ ધરવા માટે સી-૬૦ ટુકડીઓ મોકલવામાં આવી હતી. આમ આજે સવારે ગઢચિરોલી પોલીસને પણ મોટી સફળતા મળી હતી.