26/11 મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં ભારતને મોટી સફળતા મળી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએસ કોર્ટે હવે પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. FBIએ 2009માં શિકાગોમાંથી રાણાની ધરપકડ કરી હતી.
રાણા લોસ એન્જલસ જેલમાં બંધ
તહવ્વુર રાણા હાલમાં લોસ એન્જલસ જેલમાં બંધ છે. 63 વર્ષીય રાણાએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી હતી. હેડલી મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. ભારત પણ લાંબા સમયથી તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે. હવે રાણાને ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
ભારતે મજબૂત પુરાવા રજૂ કર્યા
ભારતે કોર્ટમાં રાણા વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. આ પછી અમેરિકી કોર્ટે કહ્યું કે ભારતમાં રાણા પર લાગેલા આરોપો અમેરિકાના આરોપો કરતા અલગ છે. જોકે, તેને યુએસ આરોપો હેઠળ નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે સ્વીકાર્યું કે ડેવિડ હેડલીને મદદ કરનાર રાણા વિરુદ્ધ ભારતના પુરાવા મજબૂત છે. આ પુરાવાના આધારે રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે.
તહવ્વુર આઈએસઆઈ સાથે સંકળાયેલો
2011માં અમેરિકાની એક અદાલતે રાણાને આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપવાના આરોપમાંથી મુક્ત કર્યા હતા. પરંતુ તેને લશ્કર-એ-તૈયબાને મદદ કરવા અને ડેનમાર્કમાં આતંકવાદી ષડયંત્રના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ડેવિડ હેડલીએ પણ રાણા વિરુદ્ધ જુબાની આપી હતી. તેની પાસે મુંબઈ હુમલાની સંપૂર્ણ માહિતી હતી. તે પાકિસ્તાનમાં આતંકવાદીઓના સંપર્કમાં પણ હતો. મળતી માહિતી મુજબ, તહવ્વુર રાણા પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા ISI સાથે સંબંધિત છે.