ભારતમાં લિવ ઇન રિલેશનશિપના વધતાં જતાં ચલણ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સંબંધ અને સમલૈંગિક લગ્નને 'સમાજના નિયમો વિરુદ્ધ' ગણાવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગડકરી કહે છે કે આનાથી સોશિયલ સ્ટ્રક્ચર નષ્ટ થશે.
આ અંગે નીતિન ગડકરીએ કહ્યું,એકવાર હું લંડનમાં બ્રિટિશ સંસદની મુલાકાતે ગયો હતો. આ સમય દરમિયાન, મેં બ્રિટિશ વડાપ્રધાન અને વિદેશમંત્રીને તેમના દેશની સૌથી મોટી સમસ્યાઓ વિશે પૂછ્યું હતું. પછી મને ખબર પડી કે યુરોપિયન દેશોમાં સૌથી મોટી સમસ્યા એ છે કે મહિલાઓ અને પુરુષો લગ્નમાં રસ ધરાવતા નથી અને લિવ ઇન રિલેશનશિપ પસંદ કરે છે.
કેન્દ્રીય મંત્રી ગડકરીને પૂછવામાં આવ્યું કે લિવ ઇન અને હોમોસેક્સ્યુઆલિટીની સમાજ પર શું અસર પડશે? તેના પર નીતિન ગડકરીએ કહ્યું, તમે લગ્ન નહીં કરો તો સંતાન કેવી રીતે થશે? એ બાળકોનું ભવિષ્ય શું હશે? જો તમે સોશિયલ સ્ટ્રક્ચર નષ્ટ કરશો તો લોકો પર તેની શું અસર થશે?
નીતિન ગડકરીએ કહ્યું, પ્રશ્ન એ નથી કે ભારતમાં ઓછા કે વધુ બાળકો પેદા કરવાની જરૂર છે. મુદ્દો એ છે કે બાળકો પેદા કરવા અને તેમને યોગ્ય રીતે ઉછેરવા એ માતાપિતાની ફરજ છે.
સમલૈંગિક લગ્ન પર વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આનાથી સોશિયલ સ્ટ્રક્ચર નષ્ટ થશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં છૂટાછેડા પર પ્રતિબંધ હોવો જોઈએ તો તેમણે કહ્યું કે, 'આવું ન થવું જોઈએ, પરંતુ લિવ ઇન રિલેશનશીપ સારી નથી.