US: એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં કારગીલ વિજયનાં શહીદોને શ્રધ્ધાંજલિ

New Update
US: એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં કારગીલ વિજયનાં શહીદોને શ્રધ્ધાંજલિ

કૃષ્ણપ્રિય બનવા માટે માખણ અને મોરપિંછમાં રહેલા 5-5 ગુણોને અનુસરો: પૂ.દ્વારકેશલાલજી

અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલીમાં કૃષ્ણ પંચામૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. મહોત્સવ દરમિયાન ગુરુવારે કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રદ્ધાળુઓએ રાષ્ટ્રગીતના ગાન સાથે શહીદોને અંજલી આપી હતી. આ મહોત્સવમાં વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે વ્યાસપીઠ પરથી બીજા દિવસે કૃષ્ણને પ્રિય માખણ અને ત્રીજા દિવસે કૃષ્ણની ઓળખ નેલા મોરપિંછ અંગે રસપ્રદ વાતો શ્રદ્ધાળુઓ સમક્ષ વર્ણવી હતી. દ્વારકેશલાલજીએ કૃષ્ણપ્રિય બનવા માટે માખણ અને મોરપિંછમાં રહેલા 5-5 ગુણોને અનુસરવાની શીખ આપી હતી.

દ્વારકેશલાલજી મહારાજે વચનામૃતનું રસપાન કરાવતાં જણાવ્યું હતું કે, માખણ જેવું કૃષ્ણ પ્રિય થવું હોય તો તમારા વિચાર સારા હોય, સંગ સારો હોય અને મન સાત્વિક વિચારો ગ્રહણ કરતું હોય ત્યારે માખણની જેમ તાજગીભરી રીતે સાત્વિકતાથી કૃષ્ણને શરણે થવું જોઇએ.

દ્વારકેશલાલજીએ ઉમેર્યું હતું કે, ઠાકોરજીની સેવામાં જ જીવન ગુજારવાનો સંકલ્પ કર્યા બાદ આ જિંદગીના બાકી રહેલા વર્ષોનું પુષ્પ કરમાઇ જાય તે પહેલાં જીવનરૂપી પુષ્પ કૃષ્ણાર્પણ કરી દેવું. માખણમાં 5 સ્વભાવ પ્રવર્તે છે તેમ ટાંકી માખણમાં રહેલી તરલતા, સરલતા, નિર્મલતા, શીતલતા અને મધુરતા આ પાંચ સ્વભાવને મનુષ્યને તેમના જીવનમાં કેળવી કૃષ્ણના પ્યારા બની જવા સમજાવ્યું હતું. શુક્રવારે ગુરુપૂર્ણિમા પર્વે એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી ગોકુલધામ હવેલી આવેલા વૈષ્ણ‌વ ભક્તોએ દ્વારકેશલાલજી મહારાજના ચરણો પર કેસર સ્નાન દ્વારા ગુરુપૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મહારાજશ્રીએ કૃષ્ણને મોરપિંછ કેમ પ્રિય હતું ? તેનું રસદર્શન કરાવી શ્રદ્ધાળુઓને કૃષ્ણભક્તિમાં તરબોળ કર્યા હતા.

કૃષ્ણપ્રિયતાને સમજવા માટે કૃષ્ણના જેટલાં પ્રિય તત્વો છે તેના પર ચિંતન કરવાનો વિચાર કરીએ લગભગ 84 દિવસ જોઇએ. મોરપિંછ પર ભગવાન ગોવિંદની પ્રિયતાનું કારણ ચકાસીએ તો મોરપિંછની સુંદરતા અને ગોવિંદની નિર્મલતા છે. જેમાં ગોવિંદના પ્રકૃતિ માટેના પ્રેમનું દર્શન થાય છે. ભગવાનની સહજતા તો જુઓ ઠાકોરજી જેનું નામ છે પણ સહજતા બધી કેવી છે. કોઇપણ સામાન્ય વ્યક્તિ પણ પ્રભુને પ્રસન્ન કરવા તેમને અર્પણ કરી શકે. ભગવાને જેટલી જેટલી વસ્તુઓ પોતાની નિકટ રાખી છે તેમાં ગુંજામાલા, માખણ-મીસરી, મોરપિંછ, વાંસડીનો સમાવેશ થાય છે.

મોરપિંછ અંગે બોલતાં પૂ.મહારાજશ્રીએ સમજાવ્યું હતું કે, રામાવતારમાં ભગવાન રામને વનવાસ દરમિયાન મોરપિંછ આપનાર મોરનું ઋણ ભગવાને કૃષ્ણાવતારમાં પોતાના મસ્તક પર મોરપિંછ ધારણ કરીને ઉતાર્યું હતું. મોર-મોરપિંછ આપણને કૃષ્ણપ્રિય બનવા માટે ઇશ્વર પ્રત્યે હ્રદયમાં નિ:સંશયતા, દ્રઢ વિશ્વાસ, પ્રભુમાં સાચો પ્રેમ, અખંડ સ્મરણ અને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાનું સમજાવે છે.

Latest Stories