“ભેદી સંજોગ” : કચ્છમાં સગા ભાઈ-બહેનનું નીપજ્યું મોત, માતા-પિતા પણ બેશુધ્ધ હાલતમાં મળ્યા
કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલ ભાનુશાલીનગરમાં ગત રાત્રિએ ભોજન કરીને સૂતેલાં 4 વ્યક્તિના પરિવાર પૈકી સગાં ભાઈ-બહેનના ભેદી સંજોગોમાં મોત નીપજતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મૃત ભાઈ-બહેનના માતા-પિતા પણ બેશુધ્ધ હાલતમાં મળી આવ્યાં હતા. ત્યારે ચારેયને 108 મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા, જ્યાં પિતાની હાલત ગંભીર હોવાનું માલૂમ પડ્યું હતું.
ભાનુશાલીનગરમાં રીલાયન્સ મૉલ પાછળ વિજય સોલંકી અને તેમના પત્ની-બે બાળકો
રહે છે. ગત રાત્રે પરિવારે ઘરમાં ખીચડી-દાળ બનાવ્યાં હતા. તેઓએ ખીચડી-દાળ સાથે બહારથી નાસ્તાની રેંકડી પરથી
લાવેલાં વડાપાંઉ અને બટાકાનું શાક પણ આરોગ્યું હતું. ભોજન લીધાં બાદ રાત્રે શું થયું
તેની કોઈને ખબર નથી. ત્યારે બીજા દિવસે બપોરે એક વાગ્યાના અરસામાં પડોશમાં રહેતી મહિલાએ ઘર બંધ જોઈ કુતૂહલવશ તપાસ
કરતાં બનાવ બહાર આવ્યો હતો.
બે બાળકો સહિત ચારેય વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે જી.કે. જનરલ ખસેડાયાં હતા, જ્યાં તબીબોએ 8 વર્ષના ધવલ સોલંકી અને 14 વર્ષની માનસી સોલંકીને મૃત જાહેર
કર્યાં હતા. પિતા વિજય સોલંકી પણ ગંભીર હાલતમાં સારવાર
હેઠળ છે. માતાના નિવેદનના આધારે અસરગ્રસ્તોએ
મુખ્યત્વે ઘરનો ખોરાક ખાધો હતો. પોલીસે ખોરાકના નમૂના ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે. બાળકોના મોતનું
સચોટ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રીપોર્ટના તથ્યોની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ ફૂડ
વિભાગે ખોરાકના નમૂના લેવા
માટે ટીમ મોકલી આપી સઘન તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ પણ ઘટના પાછળનો ભેદ જાણવા પીએમ રીપોર્ટ અને એફએસએલના રીપોર્ટની રાહ જોઈ રહી છે.