નવસારીના ચીખલીમાં છેતરપિંડીનો મામલો, ઉંચા વ્યાજના વળતરની લાલચ આપી કરોડોની છેતરપિંડી.

નવસારી જિલ્લાના ચીખલીમાં ઉંચા વ્યાજની લાલચે અલગ અલગ સ્કીમોમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવી સમર ગ્રુપ ઉભુ કરી નિધિ કંપની ના નામે 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.આ ઘટનામાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે ત્રણની ધરપકડ કરી હતી.

નવસારી જિલ્લાના ચીખલીમાં વર્ષ 2019માં ચીખલીના સાગર રાઠોડતેની પત્ની ચૈતાલી રાઠોડભાઈ વિશાલ રાઠોડ તેમજ નવસારીના મિરલ પટેલ આ ચાર લોકોએ સમર ગ્રુપ બનાવી નિધિ કંપનીના નામે લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું.

ત્રણ વર્ષમાં ચીખલીમાં કાર્યાલય ખોલી અનિલકુમાર રાઠોડને કર્મચારી તરીકે રાખીચીખલીથી ઉમરગામ સુધી એજન્ટો બનાવી અંદાજે 12 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાની ચર્ચાઓ હતી.

જેમાં 100 થી વધુ લોકોને દિવસમાં ચાંદ તારા બતાવીને ફરાર થઈ ચૂકેલા સાગર રાઠોડ અને તેના સાગરીતો સામે થોડા દિવસ અગાઉ ચીખલીના જ જયંતિ સોલંકીએ ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. અને પોલીસે 100 થી વધુ લોકોના નિવેદનો નોંધી 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી શોધી કાઢી હતી.

પોલીસે તમામના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરી પાંચેય આરોપીઓ સામે GPID એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જેમાં પાંચ આરોપીઓ માંથી વિશાલ રાઠોડચૈતાલી રાઠોડ અને મિરલ પટેલની ધરપકડ કરી હતી.

જ્યારે સાગર રાઠોડ અને અનિલ રાઠોડ હજી પણ પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.