સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ચાલી રહેલ વરસાદી પાણીના કાંસની લાઈના કામમાં ભ્રષ્ટાચાર અને રોડની ઊંચાઈ વધુ હોવાના કારણે સોસાયટીના રહીશો તથા રોડ ઉપર રોજીંદુ અવરજવર કરતા લોકો વિરોધ કરી રહ્યા છે.

પ્રાંતિજ રેલ્વે સ્ટેશન રોડ ઉપર હાલ ચાલી રહેલ વરસાદી પાણીના કાંસની કામગીરીને લઈને વિરોધના વંટોળ ઉભા થયા છે. આ રોડની બન્ને બાજુ મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન પણ આવેલ છે. જે કાંસ રોડથી 2 ફુટ ઉચી હોવાથી ભવિષ્યમાં અહી પાણી ભરાવવાની પણ સમસ્યા સર્જાય શકે છે. માત્ર વરસાદી છાંટા પડતા પાણી ભરાઈ રહે છે. જો કાંસની લાઈન ઉચી કરવામાં આવશે તો અહી ઢીંચણ સમા પાણી ભરાય રહેશે તેમ સ્થાનિકોએ જણાવ્યુ હતું.

જોકે, આજ રોડ ઉપર સ્કુલ-કોલેજો અને વિવિધ કચેરીઓ પણ આવેલ છે. રોજીદુ સ્કુલ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ અવર-જવર કરે છે. છતાંય હાલ તો આ લાઈનનું કામ ચાલુ છે, ત્યારે નજીકમાં આવેલ સોસાયટીના રહીશો દ્વારા આ લાઈનના કામનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો છે. હાલ તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા યુડીપી ૮૮માંથી ૧૫ લાખ રૂપિયાના ખર્ચે ચાલી રહેલ કામગીરીમાં રોડથી કાંસનું લેવલ ઊંચું હોવાથી વિવાદ વકર્યો છે.