માંડવી તાલુકાના ઉશ્કેર ગામમાં બની ચકચારી ઘટના
7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા ચકચાર મચી
10 પાંજરા ગોઠવી વન વિભાગની 7 ટીમ કામે લાગી
ભારે જહેમત બાદ ખૂંખાર દીપડાને પાંજરે કેદ કરાયો
7 વર્ષના માસૂમ બાળકના મોતથી પરિવાર આઘાતમાં
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામે દીપડાએ 7 વર્ષના બાળકને ફાડી ખાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, માંડવી વન વિભાગ દ્વારા ખૂંખાર દીપડાને ભારે જહેમત બાદ પાંજરે કેદ કરી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અને સુરત જિલ્લામાં શેરડી કાપણી કરવા આવેલ શ્રમજીવી પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં પડાવ નાખી રહેતો હતો, ત્યારે ગત મોડી સાંજે શ્રમજીવી પરિવારનો 7 વર્ષીય બાળક અજય લાલસિંગ વસાવા જે ઘરની બહાર રમી રહ્યો હતો. તે દરમિયાન દીપડો આવી બાળકને ખેંચીને નજીકના ખેતરમાં લઈ જઇ ફાડી ખાધો હતો. જોકે, બાળક નજરે ન ચડતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દીપડાના પંજાના નિશાન દેખાતા માંડવી વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન પડાવ નજીક 300 મીટર દૂર શેરડીના ખેતરમાં બાળક ફાડી ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો. ઘટનાના પગલે સ્થળ પર દોડી ગયેલ માંડવી પોલીસ તેમજ માંડવી ફોરેસ્ટ ઓફિસરની સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. બાળકના મૃતદેહનો કબજો લઇને નજીકમાં આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. દીપડાના હુમલાના ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં વન વિભાગ દ્વારા 10 જેટલા પાંજરા મારણ સાથે ગોઠવી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન બાળકને ફાડી ખાધા બાદ થોડી કલાકોના અંતરે ફરી માનવભક્ષી દીપડો બાકી રહેલ શિકાર ખાવા આવતા પાંજરે પુરાઇ ગયો હતો. વન વિભાગની ટીમ તુરંત દીપડાને પકડી સુરક્ષિત જગ્યાએ લઈ ગઇ હતી, ત્યારે હાલ માસૂમ બાળકને દીપડાએ ફાડી નાખી મોતને ઘાટ ઉતારતાં શ્રમજીવી પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. તો બીજી તરફ, સરકાર દ્વારા આપવામાં આવતી સહાય શ્રમજીવી પરિવારને વહેલી તકે મળે તે માટે વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.