-
બાળક ખુલ્લી ગટરમાં પડી મોતને ભેટવાનો મામલો
-
પોલીસે SMC જવાબદારો સામે દર્જ કરી ફરિયાદ
-
સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદની કરી હતી માંગ
-
સમગ્ર ઘટના અંગે પોલીસ કરશે તપાસ
-
અધિકારી કે કર્મચારી કસૂરવાર સાબિત થશે તેની સામે થશે કાર્યવાહી
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે.જે ઘટનામાં પોલીસે SMCના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે સાપરાધ માનવવધનો ગુન્હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં સુમન સાધના આવાસમાં રહેતો 2 વર્ષીય કેદાર શરદભાઈ વેગડ માતા સાથે 5 ફેબ્રુઆરીની સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. એ દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે જીદે ચડેલા કેદારે માતાનો હાથ છોડાવી દોટ મૂકી હતી. એ દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી સ્ટોર્મ લાઈનમાં કેદાર ખાબક્યો હતો.5 ફેબ્રુઆરીની રાતથી ફાયર વિભાગના 50થી વધુ જવાનો વિવિધ ટીમોમાં વહેંચાઈને બાળકની શોધખોળ કરી રહ્યા હતા.
ફાયર વિભાગે ઘટનાસ્થળેથી 700 મીટર સુધી સ્ટોર્મ ડ્રેનેજની તમામ લાઈનો તપાસી હતી, પરંતુ બાળક મળી આવ્યું નહોતું.6 ફેબ્રુઆરીને બીજા દિવસે ફાયર બ્રિગેડના 50 જેટલા જવાનો ફૂલ પાણીના પ્રવાહ વચ્ચે ઓક્સિજન માસ્ક સાથે ગટરમાં ઊતર્યા હતા,અને શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ પણ કેદાર ન મળતા અંતે વડોદરાથી NDRFની ટીમને સુરત બોલાવવામાં આવી હતી.24 કલાકની અથાગ મહેનત બાદ કેદારનો મૃતદેહ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો.
ઘટનામાં કેદારના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા ના કહેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી,જોકે અંતે પોલીસ દ્વારા SMCના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુન્હો દાખલ કર્યો હતો,ત્યાર બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.માસુમ વ્હાલસોયા દીકરાને ગુમાવતા પરિવારજનોના હૈયાફાટ રૂદને સૌ કોઈની આંખો ભીંજવી દીધી હતી.અને ભારે આક્રંદ સાથે કેદારની અંતિમયાત્રા નીકળી હતી અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.