શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું આયોજન
તા. 2 જુલાઈ-2025ના રોજ તાપી માતાનો જન્મોત્સવ યોજાશે
તાપી જન્મોત્સવ પૂર્વે કુરુક્ષેત્ર ઘાટ પર સફાઈ અભિયાન યોજાયું
જન્મોત્સવ પહેલા તાપી કિનારે સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ
રામ મઢીના મહંત સંતરામ બાપુ પણ સફાઈ અભિયાનમાં જોડાયા
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ તાપી કિનારે આવેલ સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને સૂર્ય પુત્રી તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્તિ મળે છે. આગામી તા. 2 જુલાઈ-2025એ અષાઢ સુદ સાતમના રોજ સુરતમાંથી પસાર થતી તાપી નદીના જન્મોત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ તાપી કિનારે આવેલ સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તાપી માતાના જન્મોત્સવની ઉજવણી પહેલા તાપી કિનારે સ્વચ્છતા જાળવવા લોકોને વિષહસ અપીલ કરવામાં આવી હતી.
શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટના પ્રમુખ કમલેશ સેલરે જણાવ્યુ હતું કે, તાપી પર હાલ નિર્માણ કરાયેલો સૂર્યોદય ઘાટ ખૂબ પ્રાચીન છે. તેની સાથે આવેલું રાંદેર ગામ તાપી માતાનું પિયર કહેવાય છે. હાલમાં સૂર્યોદય ઘાટ અને કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ પાસે તાપીમાતામાં ગંદકીનું પ્રમાણ વધી ગયું છે. આથી રામ મઢીના મહંત સંતરામ બાપુના સાનિધ્યમાં સ્મશાન ભૂમિ ટ્રસ્ટના કાર્યકરો અને બીજા પરિવારોએ ભેગા મળી તાપી કિનારે જળકુંભી દૂર કરી હતી.