મહાનગરપાલિકાની સ્કૂલમાં નોનવેજની પાર્ટી
સરકારી સ્કૂલમાં ગેટ ટુ ગેધરનું આયોજન
વિદ્યા સંસ્કારના ધામમાં નોનવેજ પીરસવામાં આવ્યું
સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા આયોજનની ચર્ચા
નગર શિક્ષણ સમિતિ દ્વારા તપાસ કરાશે
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાની પ્રાથમિક સ્કૂલમાં નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે,શાળાના આચાર્ય દ્વારા ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સુરતમાં વિદ્યા સંસ્કારના ધામમાં જ મોજશોખની મિજબાની માણવામાં આવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવી છે.ગોડાદરા વિસ્તારની સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરકારી સ્કૂલ નંબર -342 / 351 પ્રાથમિક શાળામાં ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ઉપસ્થિતોને વેજ અને નોનવેજ ભોજન પીરસવામાં આવ્યું હતું.જે અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ છંછેડયો છે.આ સમગ્ર આયોજન શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે.આ ગંભીર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈને સ્થળ, સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે અને ત્યાર બાદ આચાર્ય પ્રભાકર એલિગેટિનને સસ્પેન્ડ કરવા સહિતના કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.