સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે. જોકે, ભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના યોગીચોક વિસ્તારમાં 39 વર્ષીય યુવક લગ્ન બાદ છૂટાછેડા થતાં પોતાના 15 વર્ષના દીકરા અને પરિવારના અન્ય સભ્યો સાથે રહી જીવન પસાર કરી રહ્યા હતા. આ દરમ્યાન દીકરો નાનો હોવાથી તેઓએ ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેમને પરિવારના સભ્યોને વાત કરી હતી. આ દરમ્યાન તેઓના નાના ભાઈના પત્નીએ તેમને વ્હોટ્સએપમાં એક યુવતીનો ફોટો મોકલ્યો હતો, અને પૂછ્યું હતું કે, જો તમને આ યુવતી પસંદ હોય તો આપણે લગ્ન માટે વાત ચલાવીએ. આપણા સબંધીમાં જ છે. જેથી યુવકે હા પાડી હતી.
આ દરમ્યાન વિપુલ ડોબરિયા, જ્યોતિબેન અને જે યુવતીનો ફોટો મોબાઈલમાં આવ્યો હતો, એ સંજના નામની યુવતી યુવકના ઘરે આવ્યા હતા, ત્યારે જ્યોતિબેને જણાવ્યું હતું કે, સંજના મારા ફોઈની છોકરી છે. સંજનાના માતા-પિતા સ્વર્ગવાસ સીધાવી ગયા છે. જેથી સંજના અમારા ઘરે જ રહે છે. બાદમાં લગ્નઇચ્છુક યુવકે અને સંજનાએ વાતચિત કરી લગ્ન માટે હા પાડી હતી, જેથી લગ્ન માટે વિપુલભાઈએ જણાવ્યું હતું કે, તમારે 1 લાખ રૂપિયા જ્યોતિબેનને આપવાના છે, અને વધુ 20 હજાર રૂપિયા આપવાના રહેશે. જેથી યુવકે આ તમામ બાબતો માટે હા પાડી હતી, અને લગ્નની ખરીદી શરૂ કરી હતી. આ દરમ્યાન ચાંદીના સાંકડા અને સોનાનો દાણો અને કપડાની ખરીદી કરી તાપી કિનારે આવેલ શંકર ભગવાનના મંદિરે પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા.
બાદમાં લગ્નની વિધિ પૂર્ણ કરી લગ્નનું પ્રમાણપત્ર બનાવવાનું હોવાથી વકીલની ઓફીસ ગયા હતા, જ્યાં લખાણ કરી વરાછા ઝોન ઓફીસ ગયા, ત્યારે સંજનાએ ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે નથી તેવું જણાવ્યું હતું. જેથી તેઓ ઘરે પરત આવી ગયા હતા. બાદમાં વિપુલ ડોબરિયાને 1.25 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. થોડા દિવસ બાદ પત્ની સંજનાએ જણાવ્યું કે, મારા દાદીની તબિયત સારી નથી, અને મહારાષ્ટ્રથી સુરત આવ્યા છે. તો મારે તેમને ખબર અંતર પૂછવા જવાનું છે. તમે મને ડિંડોલી સાંઈ પોઈન્ટ સુધી મુકી જાવ. હું સાંજે પરત આવી જઈશ. જેથી સંજના ઘરે ગયા બાદ યુવકના નાના ભાઈની પત્નીને ફોન કરીને કહ્યું કે, હવે હું ઘરે નથી આવવાની. ત્યારબાદ યુવકે અનેકવાર વિપુલ ડોબરિયાને કોલ કર્યા, પરંતુ કોઈ જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી, અને લુંટેરી દુલ્હન અને તેના સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસે વિપુલ ડોબરિયા, રૂપાલીબેન ઉર્ફે સંજના વીકી ભગવાનભાઈ નાગમલ અને જ્યોતિ સંજય મોરેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.