ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચને લઈને વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંઘ પન્નુએ ધમકી આપી છે. તેણે એક ઓડિયોમાં ગર્ભિત ધમકી આપતાં કહ્યું છે કે, તે વર્લ્ડ કપ નહીં પણ ટેરર કપ હશે. ઉલ્લેખનીય છે કે, આગામી ટૂંક સમયમાં જ ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો મહાજંગ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાવા જઈ રહ્યો છે. ત્યારે આ ધમકીને લઈને અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે એક સમાચાર પત્ર સાથે ખાસ વાત કરી હતી.

આ વાતચીતના અંશો નીચે મુજબ છે

સવાલ: ગુરપતવંતસિંઘ પન્નુએ વર્લ્ડ કપ નહીં ટેરર કપ કહી ધમકી આપી છે, આ ધમકીને લઈને લોકોની સુરક્ષા કેવી રીતે વધારશો?

જવાબ: કોણ છે પન્નુ? એની ઓકાત શું છે ગુજરાત પોલીસ સામે? એ ક્યાં કેનેડામાં બેઠો બેઠો બોલ્યા કરે! ગુજરાત પોલીસ ખાસ કરીને મેચ દરમિયાન સ્ડેડિયમની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સક્ષમ છે.

સવાલ: ભારત-પાકિસ્તાનની મેચ છે રોમાંચ અને પબ્લિક, બંને વધુ હશે કેવી રીતે સુરક્ષા ગોઠવી છે?

જવાબ: સ્ટેડિયમ પર નિયમ પ્રમાણે જે પ્રોટોકોલથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય છે તે તો રહેશે, ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ ખડે પગે રહેશે. માટે કોઈ શાંતિમાં પલીતો ચાંપવાના પ્રયાસ કરે તો તેને ડામી શકાય.

સવાલ: કોઈ ખાલિસ્તાની સમર્થક છે કે કેમ તેને કેવી રીતે તપાસશો?

જવાબ: અમે સ્ટેડિયમમાં એન્ટ્રી લેનારા તમામની તપાસ કરીશું. કઈ વ્યક્તિ તેની સાથે શું લઈ જાય છે. ખાસ કરીને ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે ધાર્મિક લખાણવાળું બેનર લઈ જઈને પણ લાગણી ભડકાવાનો પ્રયાસ ના થાય તે પણ જોઈશું. ક્રિકેટ એક રમત છે, હાર-જીત કોઈની પણ થાય, એ શક્ય છે. પણ એમાં કોઈ વિઘ્ન ઊભંુ કરશે તો અમદાવાદ પોલીસ તેને ડામવામાં સક્ષમ છે.

સવાલ: કોઈ સેન્ટ્રલ એજન્સીને સુરક્ષા વ્યવસ્થા આપવાની વાત છે?

જવાબ: ના, હજુ સુધી આવી કોઈ ચર્ચા નથી થઈ. સરકાર જે પેરામિલેટ્રી ફોર્સ ફાળવશે, તેનો જ ઉપયોગ કરવામાં આવશે. અમે મોટા ભાગે આરઆરએએફ અને અમારી રિઝર્વ પોલીસનો ઉપયોગ કરતા હોઈએ છે.