Connect Gujarat
ગુજરાત

વડોદરા : દેશી ગુલાબને બદલે કાશ્મીરી ગુલાબની ખેતી પ્રચલિત

વડોદરા : દેશી ગુલાબને બદલે કાશ્મીરી ગુલાબની ખેતી પ્રચલિત
X

કરજણ તાલુકામાં ૫૦૦ વિંઘાથી વધુ જમીનમાં આકર્ષક લાલ રંગના કાશ્મીરી ગુલાબનું વાવેતર થાય છે

વસંત ઋતુ પુર બહારમાં ખીલી હોય ત્યારે સ્વાભાવિક જ રંગોના મેઘ ધનુષ અને સુગંધોના ભંડારની યાદ અપાવે એવા અપરંપાર વિવિધતા ધરાવતા ફૂલોની યાદ આવ્યા વગર ના રહે. વડોદરા જિલ્લામાં બાગાયતી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. જેમાં ફૂલોની ખેતી અથવા ફ્લોરિકલચરનો સમાવેશ થાય છે. ફૂલોની ખેતી આમતો છૂટીછવાઈ જિલ્લાના તમામ તાલુકામાં થાય છે પરંતુ એ મુખ્યત્વે કરજણ, વડોદરા અને પાદરા તાલુકાઓમાં કેન્દ્રિત થઈ છે. ફૂલોની ખેતીએ રોકડીયો પાક છે જે પૂરક આવક આપે એટલે બાગાયત ખાતું આ ખેતીને પ્રોત્સાહિત કરે છે.

જિલ્લાના બાગાયત વિભાગના અધિકારી યોગેશ પટેલ જણાવે છે કે એક સમયે જિલ્લામાં ખાસ કરીને કરજણ તાલુકામાં દેશી ગુલાબની ખેતી થતી હતી. જેનું સ્થાન હવે વધુ આકર્ષક અને ટકાઉ કાશ્મીરી ગુલાબની ખેતી લઈ રહી છે. હાલમાં જિલ્લામાં ૫૦૦ થી ૬૦૦ વિંધા જમીનમાં કાશ્મીરી ગુલાબની ખેતી થઈ રહી હોવાનું બાગાયત ખાતાનું અનુમાન છે.

યોગેશ પટેલના જણાવ્યા પ્રમાણે કરજણ તાલુકાના મુખ્યત્વે રણાપુર, કોઠિયા, દેરોલી અને નર્મદા કાંઠે આવેલા શાયર, નાની કોરલ મોટી કોરલ જેવા ગામોમાં કાશ્મીરી ગુલાબનો વાવેતર વિસ્તાર પૂર્વક થઈ રહ્યો છે. વડોદરા તાલુકાના બિલ જેવા ગામોમાં એની ખેતી શરૂ થઈ છે

ફૂલોની બાગાયતની વાત કરીએ તો જિલ્લામાં દેશી અને કાશ્મીરી ગુલાબ ઉપરાંત મોગરો, સેવંતી, ગલગોટા અને પારસના ફૂલોની ખેતી થાય છે. જેનો વિસ્તાર ૮૦૦ થી ૯૦૦ વિંઘાં હોવાનું અનુમાન છે. ઓછા પ્રમાણમાં લીલી અને રજનીગંધાની પણ ખેતી થાય છે. જિલ્લાના પાદરા તાલુકામાં ગલગોટા અને સેવંતીની ખેતી અંદાજે ૧૫૦ વિંઘામાં થાય છે. જ્યારે પાદરા અને વડોદરા તાલુકાઓમાં મોગરો અને પારસ ઉગાડાય છે.

દેશી અને કાશ્મીરી ગુલાબ સહિત અન્ય ફૂલો વેચાણ માટે મોટેભાગે વડોદરાના ફૂલ બજારમાં લાવવામાં આવે છે. નર્મદા કાંઠાના ગામોથી ભરૂચ જિલ્લો નજીક છે, એ ગામો ભરૂચના બજારોમાં ફૂલો મોકલી આપે છે. અને આ બજારોમાંથી ફૂલો છેક સૌરાષ્ટ્રના શહેરો, સુરત અને મુંબઇના બજારોમાં મોકલવામાં આવે છે. આમ,વડોદરાની ધરતીની સુવાસ મુંબઈને પણ મઘમઘાવે છે.

પ્રેમ પર્વ એટલે કે વેલેન્ટાઇન ડે નિકટ છે. વસંત પંચમી જે ભારતનું પ્રેમ પર્વ છે એ હમણાં જ ગયું. આ અવસરોએ મોટાભાગે વિદેશી, દાંડી વાળા મોંઘા ગુલાબની ખૂબ માંગ રહે છે. કાશ્મીરી ગુલાબ એનો વિકલ્પ બની શકે છે. એને જો દાંડી સાથે ચુંટી લેવામાં આવે તો કટ રોઝનો વિકલ્પ બની શકે અને એ રીતે એની માંગ વધી શકે એવું એક મંતવ્ય છે.

બાગાયત ખાતુ ફૂલોની ખેતીને પ્રોત્સાહિત કરવા વાવેતર વિસ્તારમાં સહાય આપે છે. પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને હેકટર દીઠ રૂ.૧૬૦૦૦ની અને મોટા ખેડૂતોને હેકટર દીઠ રૂ.૧૦૦૦૦ હજારની સહાય આપવામાં આવે છે. તેની વિગતવાર જાણકારી બાગાયત ખાતા પાસેથી મેળવીને આઇ ખેડૂત પોર્ટલના માધ્યમ થી લાભ લઈ શકાય છે.

Next Story