વડોદરાઃ 100 વર્ષથી રાજમહેલમાં ચાલે છે ગણેશ ઉત્સવની પરંપરા
પાલખી યાત્રા સાથે રાજવી પરિવારનાં આંગણે આવી પહોંચેલા ગણેશજીનું થયું સ્થાપન
ઉત્સવ પ્રિય અને સંસ્કારી નગરી વડોદરામાં આજે ગણેશ ચતુર્થી સાથે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. વિઘ્નહર્તા દુંદાળા દેવની રાજમેહલ સહિત શહેરમાં ઠેર-ઠેર સ્થાપના કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં ગણપતિ બાપા મોરયા.. મંગલ મૂર્તિ મોરયા..ના જય ઘોષથી ગણેશમય બન્યું હતું.
છેલ્લા 100 વર્ષ ઉપરાંતથી રાજમહેલમાં પરંપરાગત રીતે બિરાજતા ગણેશજીની આજે પણ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવી છે. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે રહેતા મૂર્તિકાર ચૌહાણ દ્વારા બનાવવામાં આવેલી ગણેશજીની મૂર્તિ પાલખીમાં આજે શુભ ચોઘડીયામાં પરંપરાગત રીતે પૂજાવિધી કરીને લઇ જવામાં આવી હતી.
શરણાઇના શૂર અને ઢોલ-નગારા સાથે પાલખીમાં રાજમહેલ ખાતે લઇ જવામાં આવેલી મૂર્તિનું રાજમહેલ ખાતે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને તેમના પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં લક્ષ્મીવિલાસ પેલેસના દરબારમાં હોલમાં રાજગુરૂ ધ્રુવદત્ત મહારાજે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરી હતી.