નવસારીથી પોતાના અને પોતાના માતા-પિતાના સ્વપ્નોને પુરા કરવા વડોદરા આવેલી યુવતીને પીંખી નાંખી તેને આપઘાત કરવા મજબુર કરી દેનારા આરોપીઓ હજી આઝાદીથી શ્વાસ લઇ રહયાં છે. રાજયના ચુનંદા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ પણ આ બે નરાધમોને હજી શોધી શકી નથી. વડોદરાની ઓએસીસ સંસ્થામાં રહીને ફીલોસોફીનો કોર્સ કરતી યુવતી દરરોજ સાયકલ પર અવરજવર કરતી હતી. મજબુત મનોબળ અને ગજબનો આત્મ વિશ્વાસ ધરાવતી યુવતી માટે 29મી ઓકટોબરનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. સાયકલમાં પંચર હોવાથી તે સુમસાન રસ્તા પરથી ઘરે જવા નીકળી પણ રીકશામાં ધસી આવેલાં બે નરાધમો તેનું અપહરણ કરી વેકસીન ગ્રાઉન્ડની અવાવરૂ જગ્યામાં લઇ ગયાં અને તેના હાથ બાંધી તેની સાથે દુષ્કર્મ કર્યું..
દુષ્કર્મની ઘટનાની બાદ પણ યુવતીને તેની સંસ્થા તરફથી કોઇ મદદ નહિ મળતાં તેણે વલસાડ ખાતે ગુજરાત કવીનના ડબ્બામાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો.. પોતાની વ્હાલસોયી દીકરીને ગુમાવી દેનારા માતા અને પિતા આજે પણ ન્યાય માટે ઝંખી રહયાં છે. 21 દિવસ છતાં હજી આરોપીઓ પકડાયાં નથી. હવે આ કેસની તપાસ માટે ડીઆઇજી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં છ સભ્યોની સીટની રચના કરાય છે. આ કેસમાં અત્યાર સુધી થયેલી તપાસની વિગતો વડોદરા રેલ્વે એસપી પરિક્ષિતા રાઠોડે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં હજારો લોકોની પુછપરછ કરાય છે તેમજ 500થી વધારે સ્થળોએ લાગેલા સીસીટીવીના ફુટેજ તપાસવામાં આવ્યાં છે.તેમણે ઉમેર્યું હતું કે, ટ્રેનના ડબ્બામાં યુવતીના હાથ, સાથળ અને પગના ભાગે ઇજાઓ પહોંચેલી હતી, જેના કારણે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટના આધારે યુવતી સાથે દુષ્કર્મ થયાનું પુરવાર થયું હતું. પરંતુ હાલ આરોપી સુધી પહોંચાય તેવા હાલ કોઈ પુરાવા મળ્યા નથી.