/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-175.jpg)
દેવપોઢી અગિયારસની સવારે શહેરના એમ.જી. રોડ ઉપર આવેલા સુપ્રસિધ્ધ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. ચાંદીની પાલખીમાં નગરયાત્રાએ નીકળેલા ભગવાનની રાજમાતા શુંભાગીનીરાજે ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડે પૂજા-અર્ચના કરી હતી.
દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો સવારે ૯ કલાકે નીકળ્યો હતો. પરંપરાગત રીતે મહારાજા ગાયકવાડ પરિવારે ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. તે બાદ ભગવાન વિઠ્ઠલ..વિઠ્ઠલ..વિઠ્ઠલા.ના જયઘોષ વચ્ચે નગરયાત્રાએ નીકળ્યા હતા. સામેથી નગરજનોને દર્શન કરવા માટે નીકળેલા ભગવાનના દર્શન કરવા માટે મેયર ડો. જીગીશાબહેન શેઠ સહિત રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
વિઠ્ઠલનાથજીના જયઘોષ, બેન્ડવાજા, ભજન-કિર્તન સાથે નીકળેલા વરઘોડાનું માર્ગમાં વેપારી મંડળો તેમજ વિવિધ પોળના યુવક મંડળો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવી, ન્યાયમંદિર, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, કોઠી ચાર રસ્તા, આરાધન સિનેમા ગૃહ થઇ કિર્તી મંદિર સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યો હતો. જ્યાં હરીની હર સાથે ભેટ કરશે. અને બપોરે 2-30 કલાકે નીજ મંદિર આવવા માટે પરત આવવા નીકળશે. સવારે નીકળેલા ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં વિઠ્ઠલનાથજીના થયેલા જયઘોષથી સમગ્ર માર્ગ ભક્તિમય વાતાવરણમાં તરબોળ થઇ ગયો હતો.
દેવપોઢી અગિયારથી ચાર માસ ભગવાન શયનમાં જશે. તે સાથે શુભપ્રસંગો બંધ થશે. સવારે ૩ કલાકે મંગળા આરતી થઇ હતી. ૭ કલાકે શ્રૃંગાર આરતી અને ૮ કલાકે રાજભોગ આરતી થઇ હતી. રાત્રે ૮ કલાકે શયન આરતી થશે. નીજ મંદિરમાં સવારથીજ શ્રધ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો. જે મોડી રાત સુધી રહેશે. નીજ મંદિર ખાતે સવારથી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેર પોલીસ તંત્ર વિશેષ પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે.