WhatsAppએ ભારતમાં ગ્રીવન્સ ઓફિસરને કરી નિમણૂક
ભારતીયોની ફરિયાદ, સમસ્યાઓના ઉકેલ માટે ગ્રીવન્સ ઓફિસર નિમણૂક કરી
WhatsAppએ ભારતમાં સોશિયલ મિડીયા પર વધતા ફેક ન્યુઝના પ્રસારણ પર અંકુશ માટે અને ભારતીયોની ફરિયાદ, સમસ્યાઓના ઉકેલ માટે ગ્રીવન્સ ઓફિસર નિમણૂક કરી છે. આ સુવિધા હેઠળ વોટ્સએપ યુઝર્સ તેમની સમસ્યાઓ અંગે સીધાં જ ગ્રીવેન્સ ઓફિસર કોમલ લાહિરી સુધી પહોચી શકશે.
ભારતમાં પોતાની સુરક્ષા અને પ્રાઇવેસીને એપડેટ કરતા વોટ્સએપે જણાવ્યું કે જો કોઇ ભારતીય યુઝર ફરિયાદ નિવારણ અધિકારી સુધી પહોચવા માગે છે તો તે વોટ્સએપના સેટિંગમા જઇને "હેલ્પ" બટન પર ક્લિક કરી શકે છે. ક્લિક કરતાની સાથે જ "કોન્ટક્ટ અસ" નો વિકલ્પ જોવા મળશે. આ માટે બીજો વિકલ્પ પોસ્ટનો રહેશે જેમાં કેલિફોર્નિયાના મેનલો પાર્કમાં સ્થિત ઓફિસમાં લેટર લખીને પણ સંપર્ક સાંધી શકાશે.
નોંધનીય છે કે અન્ય અમેરિકન કંપનીઓએ પણ ભારત બહાર તેમના ગ્રીવેન્સ ઓફિસર રાખ્યા છે. વોટ્સએપ મુજબ કોમલ લાહિરી પણ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેશે. તેમની LinkeIn પ્રોફાઇલ પરથી પણ જાણી શકાય છે કે તેઓ માર્ચ 2018થી જ વોટ્સએપ ઇન્કના ગ્લોબલ કસ્ટમર ઓપરેશનમાં સિનીયર ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મૂળ મહારાષ્ટ્રની કોમલે પુણે યુનિવર્સિટીમાંથી બીકોમ અને આઇએમડીઆરથી પીજી ડિપ્લોમા કર્યું છે. તેઓ આ પહેલા ફેસબુક અને પેપાલ કંપની માટે કામ કરી ચુક્યા છે.
આ પહેલા વોટ્સએપના સીઇઓ ક્રિસ ડેનિયલ્સે ગત મહિને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદ સાથે મુલાકાત કરી હતી. પ્રસાદે તેમને વોટ્સએપ પ્લેટફોર્મ પર ફેક ન્યુઝના મુખ્ય સ્ત્રોતની જાણકારી માટે ઉકેલ શોધવા અને આ પ્રકારના મામલાઓ માટે ગ્રીવન્સ ઓફિસરની નિમણૂક કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે પણ આ પ્રકારના અધિકારીની નિમણૂક ન થયા હોવાથી સરકાર પાસે ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો હતો