અંકલેશ્વરમાં પોલીસ કર્મી પર હુમલો કરનાર શખ્સ ઝડપાયો
અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં ઝઘડામાં મધ્યસ્થી બનીને મામલો શાંત પાડવા માટે ગયેલા બે પોલીસ કર્મી પર હુમલો કરનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં તા-22-03-2016 ના રોજ રાત્રીના અરસામાં મહેન્દ્ર શંકર વસાવા અને નજીકમાં જ રહેતા નરેશ પંચાલ અને તેના ભાઈઓ સાથે ઝઘડો કર્યો હતો, પરંતુ વાત વધુ વણસે નહિ તે માટે શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી.
શહેર પોલીસના સર્વેલન્સ સ્ટાફના પ્રવીણ પટેલ અને મેહુલ ભારડીવાલા ઘટના સ્થળ પર દોડી ગયા હતા, અને ઝઘડો શાંત પાડવા જતા ઉશ્કેરાયેલા મહેન્દ્ર વસાવા એ પોલીસ કર્મીઓ પર તલવારથી હુમલો કર્યો હતો.
જે જીવલેણ હુમલામાં બંને પોલીસ કર્મીઓને ઇજા પહોંચી હતી. અને બન્ને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બનાવ અંગે શહેર પોલીસે ફરિયાદ દર્જ કરીને ફરાર આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
જોકે ભરૂચ એલસીબી પોલીસને ઘટનામાં ફરાર આરોપી મહેન્દ્ર વસાવા ગડખોલ પાટીયા વિસ્તારમાં હોવાની બાતમી મળતા તેની ધરપકડ કરી હતી, અને શહેર પોલીસને હવાલે કરી દીધો હતો.