નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હેઠળ 10 કરોડ ગરીબ પરિવારોને મળશે લાભ
નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના) અંતર્ગત હવે 10 કરોડ ગરીબ પરિવારો માટે વાર્ષિક 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો (હેલ્થ ઇન્શ્યોરન્સ)ની જાહેરાત કરવામાં આવી છે.
નાણાંમંત્રી અરૂણ જેટલીએ તેને વિશ્વનો સૌથી મોટો હેલ્થ કેર પ્રોગ્રામ ગણાવાત કહ્યું કે, તેનાથી ઓછામાં ઓછા 50 કરોડ લોકોને લાભ મળશે. આ રીતે જોવા જઈએ તો દેશની અંદાજે 1.3 અબજ જનસંખ્યાના અંદાજે 40 ટકા માટે મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે. એટલે કે યોજના અંતર્ગત હવે ગરીબ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય પર કોઈ ખર્ચ કરવો નહીં પડે.
જેટલીએ કહ્યું કે, અમે ગરીબ અને દુ:ખી પરિવારોને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાની મદદ કરી શકીએ છીએ. આ વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ હશે. હોસ્પિટલમાં ભરતી માટે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે પૂરો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત ગરીબ પરિવારોનો 30 હજાર રૂપિયા સુધી સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ આપવામાં આવે છે.
જેટલીએ જણાવ્યું કે, 2018-19 માટે આયુષ્માન ભારત કાર્યક્રમ માટે 1200 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. ટીબીના દર્દીઓને પોષક પદાર્શ ઉપલબ્ધ કરાવવા માટે 600 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.