ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા, ઉપરવાસમાંથી થઈ રહી છે પાણીની આવક

New Update
ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા, ઉપરવાસમાંથી થઈ રહી છે પાણીની આવક

ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા વર્તાઇ રહી છે, ત્યારે નર્મદા નદીના જળસ્તર વધવાના પગલે તંત્ર એક્શનમાં આવી ગયું છે.

ગત તા. 2જી સપ્ટેમ્બરના રોજથી નર્મદા નદીમાં આવેલા પુરના પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી, ત્યારે હવે ફરી એકવાર ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નર્મદા ડેમની સપાટી 136.78 મીટરે પહોંચી છે. જેના કારણે ભરૂચ શહેરના ગોલ્ડન બ્રિજ ખાતે સવારના સમયે નર્મદા નદીની સપાટી 18 ફૂટ સુધી જોવા મળી હતી. જોકે બપોર બાદ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા વર્તાઇ રહી છે. નર્મદા કાંઠાના ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ અને વાગરાના નદી કાંઠાના 23 ગામોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 4 તાલુકાઓના સંબંધિત અધિકારીઓ અને પોલીસ તંત્રને કાંઠા ગામોના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.