કચ્છ : અંજાર શહેર જ બન્યું ડંપિંગ સાઈટ, ગાંધીધામનો દૈનિક ૧૦૦ ટન કચરો ઠાલવાતા લોકોમાં રોષ

કચ્છની ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંજાર નગરપાલિકાના ડંપિંગ સાઈટમાં દૈનિક ૧૦૦ ટન કચરો ફેંકવામાં આવતા લોકોમાં રોશની લાગણી ફેલાઇ છે. શાસકોએ બહુમતીના જોરે નિર્ણય લઈ લોકોની યાતનામાં વધારો કર્યો છે અને શહેરની સુંદરતા બગાડવાનો નીર્ધાર કર્યો હોય તેવું લોકો જણાવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીધામ નગરપાલિકા દ્વારા શિણાય ગામની સીમમાં કચરો ફેંકાતો હતો. શિણાયના ગ્રામજનોએ હાઇકોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે આ ડંપિંગ સાઈટ બંધ કરવા હુકમ કર્યો છે. જેથી રાતોરાત કોઈ વિકલ્પ ન મળતા અંજાર શહેરમાં ગાંધીધામનો દૈનિક ૧૦૦ ટન કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. શાસકોની બેજવાબદારીથી અંજારની પ્રજાના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. બન્ને શહેરોનો કચરો એક જ સ્થળે ઠલવાતો હોવાથી નજીકના સમયમાં અહીં કચરાનો પહાડ બનવા સાથે ઐતિહાસિક અંજાર શહેર નર્કમાં ફેરવાઈ જશે તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે. સત્તાધારી પક્ષ ભાજપ બહુમતીના જોરે એકચક્રી શાસન ચલાવી મનમાની કરે છે, જેનો ભોગ નિર્દોષો બની રહ્યા છે.
અંજાર શહેરમાં હવે રોગચાળો વકરી રહ્યો છે. અંજાર ડંપિંગ સાઈટમાં ગાંધીધામ નગરપાલિકાને કચરો ઠાલવવા આપેલી મંજૂરી લોકશાહીનું હનન હોવાનું નગરસેવકોએ જણાવ્યું હતું. જે સત્તાધીશોને અંજારના લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે, તે હવે સત્તાધીશો સામે બોલવા પણ એકઠા થતા નથી. રાજ્ય મંત્રી વાસણ આહીરનો મત વિસ્તાર અંજાર હોવા છતાં અહીંના લોકો ભાજપની નીતિથી મોટા પ્રમાણમાં નારાજ થઈ રહ્યા છે.