ગાંધીના ગુજરાતમાં ગોડસેની જન્મ જયંતીની ઉજવણી ચલાવી લેવાશે નહીં: ગૃહ રાજ્ય મંત્રી

New Update
ગાંધીનગર : ગોધરાકાંડનો રીપોર્ટ વિધાનસભામાં રજુ : વડાપ્રધાન મોદીને કલીન ચીટ

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં પૂજ્ય બાપુના હત્યારા ગોડસેની જન્મ જયંતીની ઉજવણી ચલાવી લેવાશે નહીં. રાજ્ય સરકારના ત્વરિત પગલાં અને કડક સૂચનાઓના પરિણામે ઉજવણી કરનારા તત્વો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે અને તે તમામની અટકાયત પણ કરાઇ છે. તેમણે ઉમેર્યું છે કે ગુજરાતે પૂજ્ય બાપુ ની જન્મભુમિ અને કર્મભૂમિ છે ત્યારે તેમની પ્રતિષ્ઠા એક ટકો પણ હણાય નહીં તે માટે રાજ્ય સરકારે ચિંતા કરી રહી છે. ગોડસેના નામે ગુજરાતની શાંતિ હણાય નહીં તથા ગુજરાતીઓની લાગણી દુભાય નહીં તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સુરત ખાતે ગોડસેના જન્મદિવસની થયેલી ઉજવણીને રાજ્ય સરકારે કડક શબ્દોમાં આલોચના કરીને વખોડી કાઢી છે.

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, મહાત્મા ગાંધીની ગુજરાતમાં ગાંધીજી વિરુદ્ધની પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર ક્યારેય સાંખી લેશે નહિ. ગુજરાતમાં આ પ્રકારની કોઇપણ પ્રવૃત્તિઓ કોઇપણ હિસાબે રાજ્ય સરકાર ચલાવી લેશે નહિ. સુરતની આ ઘટનામાં પણ જરૂરી કાર્યવાહી થાય તે માટે સુરત પોલીસ કમિશનરને ત્વરિત પગલા લેવા રાજ્ય સરકારે સૂચનાઓ આપી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા નિયમભંગ ગુના માટે ગુનો દાખલ કરીને FIR દાખલ કરાઇ છે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દેશવાસીઓ માટે સન્માનનીય અને પૂજનીય વ્યક્તિ છે ત્યારે તેમના હત્યારાના જન્મદિવસની ઉજવણી એ દેશવાસીઓનું અપમાન છે એટલે આવી ઘટનાઓને સહેજ પણ ચલાવી લેવાય નહિ . ગુજરાત તો પૂજ્ય બાપુની જન્મ-કર્મભૂમિ રહી છે એટલે સૌ ગુજરાતીઓની લાગણીને ઠેસ પહોંચી છે. લોકસમુદાયની લાગણીને ઠેસ પહોંચાડી હુલ્લડ થાય તે પ્રકારની ઉત્તેજના ફેલાવી જાહેર સુલેહ શાંતીનો ભંગ કરી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે મહાત્મા ગાંધીના હત્યારાઓને ખોટી રીતે માન આપી અગર કોઇ વ્યક્તિ લોકોને ઉશ્કેરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા પ્રયત્ન કરશે તો તેઓના વિરૂધ્ધ પણ કાયદા મુજબ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને ઉશ્કેરાટમાં નહીં આવીને શાંતિ જાળવવામાં સહયોગ આપવા પણ રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે.

Latest Stories