/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/350969fb-c88d-4373-a75c-27fc08759984-copy.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 68માં જન્મદિન પ્રસંગે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનું શાસ્ત્રોક્ત વિધિ સાથે લોકાર્પણ કર્યુ હતુ, આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ સીએમ આનંદીબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા ડેમ ખાતે ભૂદેવો અને ઋષિકુમારોનાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીએ " મા નર્મદા"ની આરતી ઉતારીને પૂજન વિધિ કરી હતી, અને ચૂંદડી તેમજ શ્રીફળ અર્પણ કરીને પ્રાર્થના કરી હતી.
સરદાર સરોવર પ્રોજેક્ટ સાકાર થતા, કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના 8221 ગામો, 159 શહેરો, અને 8 મહાનગરોના પ્રજાજનોને પીવાનું શુદ્ધ પાણી પુરૂ પાડી શકાશે. સરદાર સરોવર પ્રોજેક્ટના સુગ્રથિત માળખાને કારણે ગુજરાતની સુકી નદીઓ અને તળાવોને પણ પુનઃજીવીત કરીને તેની આસપાસની માનવ વસાહતો, માનવ સભ્યતા, સંસ્કૃતિને નવપલ્લવિત કરવાનો આયામ હાથ ધરાયો છે.
વડાપ્રધાન મોદીએ નર્મદા ડેમનાં લોકાર્પણ પ્રસંગ બાદ સાધુ બેટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતુ.અને નિર્માણ કાર્ય અંગેની માહિતી એન્જીનિયરો પાસેથી મેળવી હતી.