ભરૂચ થી દેવમોગરા જતી ઇકો કારનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત:૧ બાળકીનું મોત, ૪ થી વધુ ઘાયલ

New Update
ભરૂચ થી દેવમોગરા જતી ઇકો કારનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત:૧ બાળકીનું મોત, ૪ થી વધુ ઘાયલ

ભરૂચથી દેવમોગરા ખાતે દર્શનાર્થે જતાં લોકોને અકસ્માત નડ્યો હતો.જેમાં ઇકો કારનું ટાયર અચાનક ફાટતા ઇકો પલ્ટી મારવાની ઘટના બનવા પામી હતી. આ અકસ્માતમાં ૧ બાળકીનું કરૂણ મોત નીપજયું હતું જયારે ૪ થી વધુ ઘાયલ થતા તમામને સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયા હતા.

આ ઘટનામાં સંજય બેહચરભાઇ પટેલ નામના ચાલક પોતાની ઇકો કાર નં. GJ 16 BK 6429 લઈને ભરૂચથી દેવમોગરા દર્શન કરવા માટે હતા. દરમિયાન સવારે ૧૦.૧૫ કલાકની આસપાસ ડેડીયાપાડા રોડ ઉપર કોયલીવાવ નજીક એકાએક ઇકો કારની આગળનું ટાયર ધડાકાભેર ફાટી ગયું હતું. ટાયર ફાટતાંની સાથે જ ડ્રાઇવરે ઇકો કારના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ઇકો કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ઇકો કાર પલટી મારી જવાથી અંદર રહેલ ૪થી ૫ જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરંતુ આ ઘટનામાં માત્ર અઢી વર્ષની બાળકી કાવ્યા સંજયભાઈ પટેલનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

સમગ્ર બનાવની જાણ થતાં જ ડેડીયાપાડા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ડેડીયાપાડા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મળતી માહિતી અનુસાર કેટલાક દર્દીઓની હાલત વધુ નાજુક જણાતા તેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.