Connect Gujarat
ગુજરાત

મહીસાગર : પ્રવાસન વિભાગ દ્વારા સાતકુંડા પ્રવાસન સ્થળનો કરવામાં આવશે વિકાસ

મહીસાગર : પ્રવાસન વિભાગ દ્વારા સાતકુંડા પ્રવાસન સ્થળનો કરવામાં આવશે વિકાસ
X

₹ ૧૫૫ લાખનો ખર્ચ કરી પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરાશે

મહીસાગર જિલ્લાના મુુખ્ય મથક લુણાવાડાથી લગભગ ૨૦ કિમીના અંતરે આવેલું સંતરામપુર તાલુકાનું સાતકુંડા આમ તો ત્રણ તાલુકાના ત્રિભેટે છે. પ્રકૃતિપ્રેમી માટે ઝરણાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતિય ભેંટ છે. પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે. ખાસ કરીને વર્ષાઋતુના જોબન ઉપર હોય અને ધરતીમાતાએ લીલી ચુંદડી ઓઢી લીધી હોય ત્યારે ઉંચાઈએથી પડતા સંતરામપુર તાલુકાના સાતકુંડાના ધોધ જોઈને કુદરત ઉપર આફરિન પોકારી જવાનું મન થઇ જાય આવા અદભૂત દ્રશ્યને માણવું એક લ્હાવો છે.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="103363,103364,103365"]

આ માટે જિલ્લા પ્રવાસન સમિતિ દ્રારા આ સ્થળના વિકાસ માટે તેને જિલ્લાના પ્રવાસન સ્થળોમાં સમાવેશ કરેલ છે તેના માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્રારા રૂા.૧૫૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેથી આ કુદરતી સ્થળમાં વિવિધ સુવિધાઓ ઉભી કરી અહીયાં આવતા પ્રવાસીઓને સગવડો પુરી પાડી શકાય. તે માટે જિલ્લા પ્રવાસન સમિતિ દ્રારા વન વિભાગને રૂા. ૧૨૭ લાખની ફાળવણી કરી અહીયાં પગથીયા, રેલીંગ, ઝાડ ફરતે બેસવાના ઓટલા, શુધ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, જાહેર શૌચાલયની સુવિધા, પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ સુવિધાઓ સહિત, રેસ્ટ રૂમ, કિચન વ્યવસ્થા, વન કેડી તેમજ પ્રવાસીઓને નાહવા માટેના ઘાટ જેવી વિવિધ સુવિધાઓ ઉભી કરી અહિ આવતા પ્રવાસીઓને પુરતી સુખ સગવડો પુરી પાડવા જિલ્લા પ્રવાસન દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે જે હાલમાં કામગીરી પ્રગતિમાં છે.

પૂછ્યા વગર ન પહોંચાય તેવી રસ્તાની ભૂલભુલામણીમાં સાતકુંડાની નજીક પહોંચો એટલે અવિરત પડતાં ધોધનો અવાજ સ્વયંભૂ તે તરફ ખેંચી જાય છે. દૂરથી દોડીને ધોધની નજીક પહોંચી જવાનું મન થાય તેવા આ રમણીય સ્થળ પર સૌથી છેલ્લો કુદરતી સાતમો કુંડ છે અને ગુફામાં સતત ઉપરના પથ્થરોમાંથી પાણી ટપકતું રહે છે.

પાણીના ધોધના અવાજને કારણે સ્વયંભૂ મૌનવ્રત પાળવું પડે અથવા બૂમો પાડી બોલવું પડે, કોઈના શબ્દો નહીં, અહીં કુદરત બોલે છે. જેમ ઉપર જઈએ તેમ નાના થતાં કુદરતી કુંડ આવેલા છે. પ્રકૃતિની ગોદમાં બેસીને ધવલ પાણીની સાથે લીલીછમ્મ હરિયાળી, નીલરંગી આકાશ અને પક્ષીઓનો મધુર કલબલાટ એક ઔલોકિક અનુભૂતિને આપણા હૃદયમાં જડી દે છે! ઊંચાઇએથી પડતાં ધોધનું દ્રશ્ય એકવાર જોયા પછી સ્મૃતિમાં હંમેશા અંકિત થઇ જાય છે.

આ જિલ્લાના કલેશ્વરી, વાવકુવા ધોધ, માનગઢ, ડાયનાસોર પાર્ક, ભીમ ભમેડો, નદીઓ પર્વતમાળાઓ જેવા અનેક સ્થળો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે જે ફિલ્મ ઉધોગને તથા પ્રવાસન માટે અનુકૂળ છે. તેમાનું આ એક સ્થળ સાતકુંડા પણ આ સ્થળોની સાથે જિલ્લાના વિકાસની નવી કેડી કંડારશે તેમાં બેમત નથી. અહિ આવતા પ્રવાસીઓ અને પર્વતારોહકો, એડવેન્ચર કલબ માટે ઉત્તમ સ્થળ બની રહેશે. તેમજ આ પ્રવાસન સ્થળના વિકાસ થકી સ્થાનિક રોજગારીની નવીન તકો ઉભી થશે.

Next Story