ગુજરાતના કચ્છ જીલ્લામાં અતિ થી અતિભારે વરસાદની આગાહી,
વાયુ સાયક્લોન આજે કચ્છના અખાત તરફ વળી રહ્યું છે . આજે મધ્યરાત્રીના કચ્છનાં દરિયે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતાઓ છે .કચ્છના કંડલા પોર્ટ વિસ્તારમાં આવેલા માછીમારો અને અગરિયાઓ દરિયાઈ સ્થિતિ પર આધારિત છે. હાલની એલર્ટની સ્થિતિમાં વાયુ સાયકલોન ક્ચ્છ તરફ આવી રહ્યું છે. ત્યારે સ્થળાંતરની શક્યતાઓ ફરી સેવાઇ છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ,વાયુ સાયકલોન આજે મધરાતના ત્રણ વાગ્યા પછી રૂખ બદલશે અને કચ્છનાં અખાતમાં પ્રવેશશે ત્યારે કચ્છનાં દરિયાઈ વિસ્તારમાં પાણી આવવાની પૂરેપૂરી શક્યતા સેવાઇ છે. હવાનું દબાણ ઘટશે એટલે સાયકલોનની અસર નહિ થાય પણ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો નીચાણવાળા વિસ્તારોમાં દરિયાઈ પાણી ભરાવાની શકયતા છે. કંડલા વિસ્તારના થર્મલ ઇફકો ઝુંપડા,બન્ના,મીઠા પોર્ટ સહિતના ઝૂંપડપટ્ટીના દરિયાઈ વિસ્તારો ફરી આજે સાંજે ખાલી કરાવવામાં આવી શકે છે. અગરિયાઓ હજી સ્થળાંતરિત જ છે. કંડલા મરીન પીઆઇ વી.એફ.ઝાલાએ જણાવ્યું કે ,અગાઉ કામગીરી કરાઈ તેમ ઉપરી આદેશ મળતાની સાથે સ્થળતાંરની કામગીરી કરાશે.મરીન પોલીસની બોટ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
દીનદયાલ કંડલા પોર્ટ એશિયામાં કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં આવતું સૌથી મોટું બંદર છે. તાજેતરમાં વાયુની ગુજરાતમાં અસરને પગલે પોર્ટ બે દિવસ સુધી બંધ રહ્યું હતું. જેને પગલે કરોડો રૂપિયાની નુકશાની થવા પામી હતી. હાલમાં જ્યારે હવામાન ખાતાની આગાહી મુજબ,આજે રાતે સાયકલોન ડિપ્રેશનમાં ફેરવાઈને ક્ચ્છમાં આવી શકે છે. કંડલા પોર્ટ પર બે નંબરનું સિગ્નલ યથાવત છે અને રૂટિન મુજબની કામગીરી ચાલી રહી છે. જો કે,સાયકલોન કચ્છનાં અખાતમાં વળતા ડિપ્રેશન સર્જાવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તેવી સંભાવનાઓ છે. ત્યારે આજે રાત્રીના હવામાનની રૂખ પરથી સાચી સ્થિતિનો ખ્યાલ માલુમ પડશે દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના કાર્ગો અને ઓઈલ જેટી પર હાલે ૧૬ જહાજ લાંગરેલા છે. તમામ જહાજો સિગ્નલ સ્ટૅશનના સંપર્કમાં છે. અને તેમના ક્રુ મેમ્બર પવન અને દરિયાના કરંટ પર નજર રાખી રહ્યા છે. પોર્ટ હાલે સજ્જતા સાથે કાર્યાન્વીત છે.