અમદાવાદ : AMC અને સ્થાનીય તંત્રની મહેનત રંગ લાવી, કોરોનાના દર્દીઓની સંખ્યામાં થયો ઘટાડો
સમગ્ર રાજ્યમાં એક સમયે પીક અવર્સમાં કોરોના મહામારી હતી. પરંતુ હવે કોરોના વાયરસ નબળો પડી રહ્યો છે. ઝડપી નિદાન અને ઝડપી સારવારના કારણે હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. જોકે દિવાળી સુધી કોરોનાના કેસમાં હજુ થોડો ઘટાડો થશે. પરંતુ, ડિસેમ્બર-જાન્યુઆરીમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં એક સપ્તાહ બાદ ફરીથી હોસ્પિટલમાંથી કોરોનાના દર્દીઓની ડિસ્ચાર્જની સંખ્યા 99 થઈ છે. ગત સપ્તાહમાં હોસ્પિટલમાંથી રજા લેતા દર્દીની સંખ્યા 200થી વધુ હતી, ત્યારે શહેરમાં અત્યારે 2739 એક્ટીવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં નવા 156 કેસ નોંધાયા હતા. આમ 38 દિવસ બાદ ફરી કોરોનાના કેસનો આંક 156 થયો છે. કોરોનાથી વધુ 2 દર્દીના મૃત્યુ પણ થયા હતા. તો સાથે જ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં ખાલી-ભરેલા બેડની સંખ્યા લગભગ 50 ટકા છે. આઇસીયુ વીથ વેન્ટિલેટરમાં 82 દર્દી દાખલ છે, ત્યાં 80 બેડ ખાલી છે. આઇસીયુ વિધાઉટ વેન્ટિલેટરમાં પણ 171 બેડ ભરેલા છે અને 154 બેડ ખાલી છે. તો બીજી તરફ રાજ્યના કેટલાક મોટા શહેરમાં પણ હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જેમાં એક સમયે 1500 કેસની સામે 950ની આસપાસ કેસ સીમિત થઇ ગયા છે.
અમદાવાદ સહીત અનેક શહેરોમાં કોરોનાના કેસ ઓછા થતાં જોવા મળી રહ્યા છે. શહેરમાં અનેક સ્થળોએ કોરોના ટેન્ટ આશીર્વાદ રૂપ સાબિત થઇ રહ્યા છે. સતત એક મહિનાથી થઇ રહેલા ટેસ્ટથી પોઝિટિવ આવનાર દર્દીની તાત્કાલિક સારવાર થાય છે. તો જેની પાસે પૈસાની સગવડતા નથી તે પણ વિનામુલ્યે ટેસ્ટ કરાવી શકે છે. આમ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થવાની પાછળ AMC અને સ્થાનીય તંત્રની મહેનત હવે રંગ લાવી રહી છે. અનેક તબીબો અને આરોગ્યની ટીમો સતત કાર્યરત રહી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, ત્યારે આવનાર સમયમાં કોરોનાના કેસમાં હજી ઘટાડો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા વર્તાઇ રહી છે.