અમદાવાદ : કોરોનાને નાથવા AMCનો એક્શન પ્લાન, પોલીસ બંદોબસ્ત સાથે બસ સ્ટોપ આવતા મુસાફરોનું ચેકિંગ શરૂ
ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જોકે અમદાવાદમાં અગાઉ કોરોનાના વધુ કેસ જોવા મળ્યા હતા, પરંતુ હવે દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે. જેના પગલે ગીતામંદિર ST બસ સ્ટોપ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે મુસાફરોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો હોય તો, તે અમદાવાદ શહેર છે. આજ દિન સુધી રાજ્યમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા અમદાવાદમાં જોવા મળી છે, ત્યારે કોરોનાના સંક્રમણને નાથવા AMCએ એક્શન પ્લાન બનાવ્યો છે. અમદાવાદ સ્થિત ST બસ સ્ટોપ ખાતે આવતા તમામ મુસાફરોનું રેપિડ કીટથી ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા શહેરના નહેરુનગર, રાણીપ, કૃષ્ણનગર ST બસ સ્ટોપ ખાતે ટેસ્ટિંગ શરૂ કરાયું છે. બહારથી આવતા કે જતા કોઇ મુસાફર સંક્રમિત જણાશે તો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવશે.
અમદાવાદમાં કોરોના મુદ્દે AMCએ નવી રણનીતિ બનાવી છે. જો તપાસ દરમ્યાન અથવા બાદમાં ક્યારેક મુસાફર ભાગી ન જાય તે માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. શહેરમાં બહારથી આવતા મુસાફરોમાં લક્ષણો નહીં હોય તેવા દર્દીઓને સમરસ ખાતે સારવાર આપવામાં આવશે. ગીતામંદિર ST બસ સ્ટોપ પર 524 જેટલા મુસાફરોના ટેસ્ટ કરાતા 6 મુસાફરો પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.