અમદાવાદ: તરખાટ મચાવનાર ચાદર ગેંગનો સાગરીત પોલીસ સકંજામાં, જુઓ શું થયો ખુલાસો
અમદાવાદના સીજીરોડ પરના ઘડિયાળના શોરૂમમાંથી કીમતી ઘડિયાળોની ચોરી કરવાની ઘટનામાં શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. જ્યારે ગેંગના અન્ય સભ્યો નેપાળ ભાગી ગયા હોવાની આશંકા છે.
અમદાવાદ શહેરના સીજીરોડ પર ચાદરની આડમાં ઘડિયાળના શોરૂમનું તાળુ તોડી અંદર ધુસી લાખો રૂપિયાની ઘડિયાળોની ચોરી કરવા માટે ચાદર ગેંગે પહેલા શોરૂમમાંથી રૂ.16 હજારની ઘડિયાળ ખરીદી હતી. ત્યારબાદ તક જોઈને ચાદરની આડમાં ચોરી કરી હતી અને આ ચોરીમાં રાજ્યની બહારની ગેંગ હોવાની આશંકા પોલીસે વ્યકત કરી હતી અને અલગ અલગ દિશામાં પોલીસની ટિમો તપાસ કરી રહી.
ચોરીની આ ઘટનામાં સીસીટીવીના આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી આ ગેંગના સભ્યો બિહારના મોતીહારી જિલ્લાના ધોરાસહન ગામના ચિત્તપટ્ટીના હોવાનું જણાતા એક ટીમ ત્યાં ગઈ હતી જયાં ટીમે એક સપ્તાહ સુધી ગેંગના સભ્યોનું પગેરુ શોધ્યા બાદ અંતે આ ગેંગનો એક સભ્ય જેણે ચાદર પકડી રાખી હતી તે રોહિતકુમાર જિતેન્દ્રસિંહ રાજપૂત પકડાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગના અન્ય સભ્યો નજીક આવેલી નેપાળ બોર્ડર પાર કરી નેપાળ નાસી ગયા હોવાની આશંકા છે.