અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુલતવી રાખવા કોંગ્રેસના ધારાસભ્યનું ચૂંટણી કમિશ્નરને આવેદન પત્ર
દેશ અને રાજ્યભરમાં કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર સાથે મુલાકાત કરી આવેદન પત્ર પાઠવી ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવે તેવી રાહુયાત કરી હતી.
અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, હાલમાં કોરોના મહામારીનો કપરો કાળ ચાલી રહ્યો છે. તેવા સંજોગોમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 6-મહાનગરપાલિકા (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર) 56૬-નગરપાલિકાઓ, 31-જીલ્લા પંચાયત (ખેડા અને બનાસકાંઠા સિવાય તમામ) અને 231-તાલુકા પંચાયતની મુદત પુરી થાય છે, જેની સામાન્ય ચૂંટણી ઓકટોબર અને ડીસેમ્બરમાં યોજવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે અંગે સીમાંકન અને રોટેશનના પ્રાથમિક જાહેરનામાઓ પણ બહાર પાડવામાં આવ્યા છે.
જોકે હાલના સંજોગોને ધ્યાને લેતાં તથા રાજ્યમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિના સંદર્ભમાં આગામી માસમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તો રાજકીય પક્ષો, રાજકીય આગેવાનો, ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ, પ્રચાર-પ્રસાર વિગેરે પણ વધી જાય તે સ્વાભાવિક છે. તદ્દઉપરાંત ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ પાયાના અધિકારીઓ, કર્મચારીઓની પણ આ સંબંધેની કામગીરીઓમાં સંક્રમિત થવાની સંભાવના ખૂબ જ હોવા છતાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષો તેમજ અન્ય હિસ્સેદારો સાથે કોઈ પરામર્શ પણ શરૂ કરેલ નથી. જેથી ગ્યાસુદ્દીન શેખે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા બાબતે ખૂબ જ સંવેદનશીલ રહીને યોગ્ય તેમજ વ્યવહારૂ ઉપાયો અખત્યાર કરવા જરૂરી છે, અન્યથા રાજ્યમાં ભયાનક સંક્રમણની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહીં. જેથી વિશાળ હિતને યોગ્ય પરીપ્રેક્ષ્યમાં લક્ષમાં લેવા રજૂઆત સહ વિનંતી કરી હતી.