અમદાવાદ : કોંગ્રેસ બચેલા 66 ધારાસભ્યોને ટકાવી રાખવા મોકલશે રાજય બહાર
ગુજરાતમાં વિધાનસભામાં બચેલાં 66 ધારાસભ્યોને ટકાવી રાખવા માટે કોંગ્રેસે ઝોન વાઇસ ધારાસભ્યોને રાજયની બહાર મોકલવાનો નિર્ણય કર્યો છે. ગુરૂવારના રોજ બે ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ બચાવની મુદ્દામાં આવી ચુકી છે.
રાજયસભાની ચુંટણીમાં કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શકિતસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે ભાજપ અને કોંગ્રેસને બે બેઠક મળી શકે તેમ હોવા છતાં ભાજપે ત્રણ ઉમેદવાર ઉભા રાખ્યાં છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનને મેદાનમાં ઉતાર્યા છે. રાજયસભાની ચુંટણી થાય તે પહેલાં કોંગ્રેસના સાત ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં ભાજપના ત્રીજા ઉમેદવારનો વિજય નકકી થઇ ગયો છે. ભાજપે પાડેલા ભંગાણના પગલે શકિતસિંહ અથવા ભરતસિંહ બેમાંથી એક સિંહ રાજયસભામાં ન જઇ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસે બચી ગયેલાં 66 ધારાસભ્યોને રાજીનામા આપતા રોકવા માટે ગુરૂવારના રોજ તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં રાજયસભાના સાંસદ અહમદ પટેલ અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ વિડીયો કોન્ફરન્સથી જોડાયાં હતાં. બેઠકમાં ઝોનવાઇસ ધારાસભ્યોને રાજયની બહાર લઇ જવા તથા દરેક ઝોનની જવાબદારી સિનિયર નેતાને સોંપવામાં આવશે. દેશમાં ભલે લોકડાઉનમાંથી અનલોક થઇ રહયું હોય પણ કોંગ્રેસના ધારાસભ્યો ફરી કવોરન્ટાઇન થશે તે નકકી છે.