અમદાવાદ: મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો પરથી ભાજપ વિધાનસભામાં 150 સીટ જીતવાનો બનાવશે પ્લાન, જુઓ કઈ રીતે
રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 6 મહાનગરપાલિકામાં પ્રચંડ વિજય મેળવ્યો છે. જનતાએ ભાજપ પર ફરી વિશ્વાશ મુક્યો છે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા સહિતની મહાનગપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે તો કોંગ્રેસનું સંપૂર્ણ ધોવાણ થયું છે ત્યારે હવે ભાજપ વિધાનસભાની ચૂંટણી પર ફોકસ કરી રહ્યું છે.
રાજ્યમાં એક માત્ર સુરતમાં આપ પાર્ટીએ ભાજપને ટક્કર આપી છે તો કોંગ્રેસ એક બેઠક પણ જીતી નથી શકી. સુરતની જનતાએ કોંગ્રેસને બદલે આપ પર વિશ્વાશ મુક્યો તે સાફ થયું છે અને સુરતની કુલ બેઠક 120 માંથી ભાજપને 93 બેઠક અને આપ ને 27 બેઠક પર જીત મળી છે. સુરતમાં કોંગ્રેસની હાર પાછળ પાટીદાર સમાજ અને પાર્ટીનો ટકરાવ જવબદાર માનવામાં આવે છે અને ટિકિટ ફાળવણી બાદ પાર્ટીના નેતાઓએ જે બેજવાબદાર નિવેદનો કર્યા તે પણ કારણભૂત માનવામાં આવે છે.
રાજ્યમાં ચૂંટણીઓમાં ભાજપે કુલ 500 બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ આ ટાર્ગેટ પુરો થવામાં માત્ર 11 બેઠકો જ બાકી રહી ગઈ હતી.હવે આ પરિણામના આધારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવાનો ઇતિહાસ રચવાની વ્યૂહરચના ગોઠવાશે. 2015ની ચૂંટણીમાં રાજ્યની છ મહાનગર પાલિકામાં ભાજપને 576 માંથી 385 બેઠકો મળી હતી, જયારે કૉંગ્રેસ ને 183 બેઠકો મળી હતી. આ વખતે કોંગ્રેસે શહેરી વિસ્તારમાં અત્યંત કંગાળ દેખાવ કર્યો છે. અમદાવાદમાં ભાજપે 159 બેઠક મેળવી ઇતિહાસ સર્જ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થયા છે પણ લઘુમતી વિસ્તારમાં એઆઇએમઆઇએમની એન્ટ્રી થઇ છે અને તેના ખાતે 7 બેઠક આવી છે તો આમ આદમી પાર્ટીએ સુરતમાં થોડો સારો દેખાવ કર્યો છે.
જેથી હવે આગામી વિધાનસભાની ફાઈનલમાં ભાજપ કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા માટે હવે કટિબદ્ધ થઈ ગયો છે. રાજ્ય ચૂંટણી પંચના સતાવાર આંકડા પર નજર કરીયે તો 2015 માં 6 મહાનગરોમાં મોટાભાગના મતદાતાઓ ભાજપની તરફેણ માં હતા અને મતની ટકાવારી 50.13 હતી અને કોંગ્રેસને 39.59 ટકા મત મળ્યા હતા . 2010માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થઇ હતી ત્યારે મહાનગરોમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતોની ટકાવારીમાં 20 ટકાનું અંતર હતું પણ આ ચૂંટણીમાં ભાજપે તમામ રેકર્ડ બ્રેક કર્યા છે અને સુરત અમદાવાદ સહીત દરેક મહાનગરપાલિકામાં એતિહાસિક જીત મેળવી છે. મહાનગરપાલિકામાં થયેલ મતદાનથી એક વાત સાફ થઇ છે કે જનતા વિકાસ અને સારા પ્રતિનિધિઓને ચૂંટવા માંગે છે જે દરેક રાજકીય પાર્ટી માટે મંથન નો વિષય છે.