અમદાવાદ : નારણપુરામાં ફરસાણની દુકાનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરોએ 8 લોકોનું કર્યું રેસક્યું
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. સરદાર પટેલ સ્ટેડિયમ રોડ પર એક કોમ્પ્લેક્સમાં આવેલ સમોસાની દુકાનમાં બુધવારની વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી 8 જેટલા લોકોનું રેસક્યું કર્યું હતું.
અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન આગના બનાવો સામે આવી રહી છે, ત્યારે વહેલી સવારે નારણપુરા વિસ્તારમાં આવેલ મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે કોમ્પ્લેક્સના બેઝમેંટમાં દુકાનો અને ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. આગનો બનાવ બનતા જ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી, ત્યારે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવા કવાયત શરૂ કરી હતી. તો સાથે જ આગમાં ફસાયેલા 8 જેટલા લોકોનું રેસક્યું કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરોએ 15 જેટલા વોટર બાઉઝરની મદદથી ભારે જહેમત સાથે આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લીધો હતો. જોકે ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો સાથે જ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ હોવાના સમાચારો મળ્યાં નથી.