અમદાવાદ : ઘરમાં ફર્નિચર કામ માટે આવેલાં સુથારે ઘડયો હતો લુંટનો પ્લાન, એમપીથી બોલાવ્યાં સાગરિતો
હવે વાત અમદાવાદમાં વૃધ્ધ દંપતિના ઘરમાં ઘુસી થયેલી હત્યા અને લુંટની મર્ડરની ઘટનાની. બંગલામાં કામ કરવા માટે બોલાવેલા સુથારે જ લુંટનો પ્લાન ઘડી તેના સાગરિતોને મધ્યપ્રદેશથી બોલાવ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. જો કે સુથાર સહિત તમામ પાંચ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયાં છે.
અમદાવાદમાં શાંતિવન પેલેસના આલીશાન બંગલામાં રહેતાં વૃધ્ધ દંપતિની કરપીણ હત્યા કરી લુંટ ચલાવવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મુખ્ય સુત્રધાર સહિત પાંચ આરોપીને ઝડપી પાડયાં છે. બંગલામાં એકલા રહેતાં દંપત્તિના ઘરમાંથી 50 હજાર રૂપિયા રોકડા તથા ઘરેણાની લુંટ થઇ હતી. અશોક ભાઇ અને જયોત્સનાબેનનો પુત્ર વિદેશમાં સ્થાયી થયો હોવાથી તેઓ એકલા રહેતાં હતાં. તેમણે પોતાના બંગલામાં ફર્નિચરના કામ માટે સુથારને બોલાવ્યો હતો. સુથારે બંગલામાં કામ કરતી વેળા લુંટનો પ્લાન ઘડી નાંખ્યો હતો. આના માટે તેણે મધ્યપ્રદેશમાં રહેતાં પોતાના સાગરિતોને તૈયાર કર્યા હતાં. તેઓ અમદાવાદ આવી ગયાં હતાં અને ઘટનાને કેવી રીતે અંજામ આપવો તે નકકી કર્યું હતું. દંપતિ ઘરમાં એકલું હતું ત્યારે ચારેય સાગરિતો હથિયારો સાથે ઘુસસી ગયાં હતાં અને પહેલાં અશોકભાઇ અને બાદમાં જયોત્સનાબેનની હત્યા કરી નાંખી હતી. બંનેની હત્યા બાદ તેઓ રોકડ રકમ અને દાગીનાની લુંટ ચલાવીને ફરાર થઇ ગયાં હતાં. હત્યારાઓને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમોએ 200 કરતાં પણ વધારે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપીઓ ઓળખાઈ ગયા હતા. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતે ભાગી ગયા હતાં.
આ માહિતીના આધારે, ક્રાઇમ બ્રાંચની 3થી 4 ટીમ ગિઝોરા પહોંચી હતી, જ્યાં સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીઓને પકડવા વોચ ગોઠવાઈ હતી, જેમાં રવિવારે રાતે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેણે આપેલી માહિતીના આધારે અન્ય 3 સાગરીતને પણ પોલીસે ઝડપી લીધા હતા. ચારેય પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા પૈસા તેમ જ જ્યોત્સ્નાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલાં ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સોમવારે સાંજે ચારેય આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથમાં આવી જતાં ટીમો તેમને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનનો દીકરો હેતાર્થ 6 વર્ષથી દુબઈ રહે છે. બંને અવારનવાર દુબઈથી અમદાવાદ કરતાં હોવાથી તેમનું પાસે સોનું વધારે મળવાની શક્યતા હોવાથી ફર્નિચરકામ કરવા આવેલાં સુથારે લુંટનો પ્લાન ઘડી નાંખ્યો હતો.