અમદાવાદ : વેપારીઓના ત્રાસથી વેપારીએ જીવન ટુકાવ્યું, સ્યુસાઇડ નોટમાં કર્યો ઉલ્લેખ...
નાણાંની ભીંસ અને વેપારીઓના ટોર્ચરથી કંટાળી અમદાવાદ શહેરના કાપડના એક વેપારીએ રિવરફ્રન્ટ ખાતે ઝેરી દવા પીને નદીમાં ઝંપલાવ્યું હતું.
નાણાંની ભીંસ અને વેપારીઓના ટોર્ચરથી કંટાળી અમદાવાદ શહેરના કાપડના એક વેપારીએ રિવરફ્રન્ટ ખાતે ઝેરી દવા પીને નદીમાં ઝંપલાવ્યું હતું. વેપારીએ આપઘાત કરી લેતા તેના પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેના આધારે પોલીસે 11 વેપારીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વ્યાજખોરોના ત્રાસથી તો અનેક લોકોએ આપઘાત કર્યા હોવાની ઘટના બની હશે, પરંતુ અમદાવાદમાં વેપારીઓના ત્રાસથી એક વેપારીએ જીવન ટુકાવ્યું હોય તેવો એક બનાવ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે નોંધાયો છે. અમદાવાદના વેપારી વિજય જિનગરે સ્યુસાઇડ નોટમાં મુંબઈ અને અમદાવાદના વેપારીઓ રાજેન્દ્ર શરાફ, ગોપાલ, નિલેશ પંચાલ, વિનય અગ્રવાલ, સંજય, દીપક, અસલમ, કમલેશ, ઋષભ, વિક્રમ તથા યશ નામના વેપારીઓ વિરુદ્ધ સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યા છે. જેમાં મૃતકને માર મારવો, ગાળો બોલવી, કોરા કાગળો પર સહીઓ કરાવી લેવી ઉપરાંત રૂપિયા ચૂકવ્યા હોવા છતાંય ખોટા કેસો કરવાની સાથે જ માનસિક રીતે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. આ વેપારીએ 11 વેપારીઓના નામજોગ અંતિમચીઠ્ઠી લખી મોતને વ્હાલું કર્યું હતું. વેપારીઓના અસહ્ય ત્રાસથી વેપારીએ કંટાળી વેપારીએ નદીમાં ઝપલાવી આત્મહત્યા કરતા વેપારીના પુત્રએ આત્મહત્યા માટે દુષપ્રેરણા, મારામારી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.