અમદાવાદ: સરકારી તબીબોની 5 દિવસથી હડતાળના પગલે આરોગ્ય સેવાઓ ઈમરજન્સીમાં

સરકાર સાથેની બેઠકમાં પણ પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા તબીબોએ હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે

New Update
અમદાવાદ: સરકારી તબીબોની 5 દિવસથી હડતાળના પગલે આરોગ્ય સેવાઓ ઈમરજન્સીમાં

રાજયમાં સરકારરી તબીબોની હડતાલ સતત પાંચમા દિવસે પણ યથાવત રહી છે. સરકાર સાથેની બેઠકમાં પણ પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા તબીબોએ હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે

રાજ્યના 10 હજાર ડોક્ટર્સ પડતર માંગોને લઈ ને હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા ઘણા સમયથી ડોક્ટર હડતાળ પર ઉતરતા આરોગ્ય સેવા ખોરવાય છે. પડતર પ્રશ્નોની રજૂઆત છતાં પણ કોઇ ઉકેલ ન આવતા ડોક્ટર્સ દ્વારા રોષના ભાગ રૂપે હડતાળ પાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હજુ પણ જનતાએ હાલાકી વેઠવી પડશે. હજુ પણ સારવાર મેળવવા માટે ધક્કા ખાવા પડશે કારણ કે ડોક્ટરની હડતાળ યથાવત રહેવાની છે.સરકાર અને ડોક્ટર વચ્ચે બેઠક મળી હતી. આ બેઠક બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતા ડોક્ટરની હડતાળ યથાવત રહેશે તેવું સામે આવ્યું છે.અમદાવાદના સિનિયર ડોક્ટર રાજેન્દ્ર અમીને જણાવ્યું કે અમારા દરેક મુદ્દા પર કોઇને કોઇ રીતે અસહમતી રહી છે માટે અમારી હડતાળ તો ચાલુ જ રહેશે. અમારા મુદ્દાની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. સરકારનો અભિગમ હકારાત્મક છે પરંતુ સેવા લક્ષી અમારા જે પ્રશ્નો છે તેની સ્પષ્ટતા જોઇએ એટલી નથી. સરકારે વચન આપ્યું હતું કે 31-3-22ના રોજ અમને અમારા ઠરાવો આપવામાં આવશે, આદેશ આપવામાં આવશે પરંતુ આટલી ચર્ચા બાદ અમને કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.

અંદાજે 10 હજાર તબીબો કામકાજથી દૂર રહેતા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની મેડિકલ સેવાઓ પર ગંભીર અસર પહોંચી છે. રાજ્યભરમાં સરકારી મેડિકલ કોલેજના 10 હજાર જેટલા સિનિયર તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળને પગલે રાજ્યની આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે.