-
પ્લેન ક્રેશની હૃદયદ્રાવક ઘટના
-
265 નિર્દોષોના હોમાયા જીવ
-
પીએમ મોદીએ ઘટના સ્થળની લીધી મુલાકાત
-
પીએમ મોદી સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળ્યા
-
પીએમએ એક્સ પર કરી પોસ્ટ
-
મૃતકોના પરિવારજનોને પાઠવી સાંત્વના
અમદાવાદ પ્લેન ક્રેશની હૃદયદ્રાવક ઘટના બાદ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળ બાદ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ પહોંચ્યા હતા. દુર્ઘટના સ્થળે પહોંચી અને પગપાળા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ ઇજાગ્રસ્તોને મળ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે તેમની સાથે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, રામ મોહન નાયડુ અને ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ રમેશ વિશ્વાસ કુમારને પણ મળ્યા હતા. રમેશ કુમાર હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પીએમ મોદીએ પોતાના એક્સ પર ફોટા શેર કરીને દુ:ખ વ્યક્ત કર્યુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ છે કે, આજે અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુઃખદ છે. અધિકારીઓ અને ટીમોને મળ્યો તેઓ અથાક મહેનત કરી રહ્યા છે. આ અકલ્પનિય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અમે તેમની સાથે છીએ.
આ સાથે તેમણે એક્સ પર જણાવ્યુ છે કે, અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી આપણે બધા ખૂબ જ દુઃખી છીએ. અચાનક અને હૃદયદ્રાવક રીતે આટલા બધા લોકોના જીવ ગયા તે વર્ણવવા માટે શબ્દો નથી. બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે, પાછળ રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે.ઓમ શાંતિ.