લોકડાઉનના આઠમા દિવસે પણ અમદાવાદમાં કરફયુમય માહોલ જોવા મળ્યો હતો. લોકો હવે પોતાના ઘરોમાં જ સમય વિતાવી રહયાં છે. જીવન જરૂરીયાતની વસ્તુઓ સરળતાથી મળી રહેતી હોવાથી લોકોને ખાસ સમસ્યાઓ સામનો કરવો પડી રહયો નથી.
વડાપ્રધાને લોકડાઉનની જાહેરાત કર્યાની સાથે અમદાવાદની પોલીસ એકશનમાં આવી ગઇ હતી. લોકો પોતાના ઘરોમાં જ રહે તે માટે વિવિધ પોઇન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ અધિકારીઓ અને જવાનો લોકોની સેવામાં ખડેપગે ફરજ બજાવી રહયાં છે. ચૈત્ર મહિનાના આકારા તાપમાં પણ તેઓ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જહેમત ઉઠાવી રહયાં છે. દરેક વાહન તથા રાહદારીને પુછપરછ બાદ જ આગળ જવા દેવામાં આવે છે અને યોગ્ય કારણ ન હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.