અમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું પડ્યું, જુઓ ક્યાં થયું ફાયરિંગ..!

નિકોલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના,ફાયરિંગ કરનારની પોલીસ દ્વારા ધરપકડ

Update: 2022-07-02 12:57 GMT

અમદાવાદ પોલીસ હજુ રથયાત્રાના બંદોબસ્તનો થાક ઉતારી ઘરે જ જવાની હતી, ત્યાં જ શહેરમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. નિકોલ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બનતા પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે દોડવું પડ્યું હતું. જોકે, મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સામે આવ્યું કે, એક વ્યક્તિ દારૂના નશામાં છાટકો બની આડેધડ 3 રાઉન્ડ ફાયરિંગ કરી નાખ્યું હતું. ચરણજીત સરના નિકોલના ગોવર્ધન ગેલેક્સી બંગલામાં રહે છે. જેની હાલ નિકોલ પોલીસે ધરપકડ કરી છે. બનાવ સંદર્ભે આરોપીની પૂછપરછ કરતાં તે ગતરોજ રાત્રે ઘરની બહાર નીકળ્યો હતો, ત્યાં ચિરાગ હદવાણી નામનો વ્યક્તિ પોતાનું શ્વાન લઈ ચાલવા નીકળ્યો હતો, જ્યાં અચાનક જ ચરણજીતે બંદૂક કાઢીને ચિરાગ હદવાણી સામે તાક્યું હતું.

ચિરાગ હદવાણી હજુ કંઈ સમજે એ પહેલાં જ આરોપીની પુત્રી આવી ગઈ અને પિતાના હાથને ધક્કો મારતા આરોપીએ હવામાં ત્રણેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, ત્યારે પોલીસે સ્થળ પર જઈને જોતાં આરોપી ચરણજીત અસ્વસ્થ હાલતમાં એટલે કે, નશાની હાલતમાં હતો. જેથી પોલીસે તેની આકરી પૂછપરછ બાદ અટકાયત કરી હતી. ચરણજીત સરના વિરુદ્ધ પ્રોહિબિશન અને હથિયાર ધારા મુજબ ગુન્હો દાખલ કર્યા બાદ પોલીસ દ્વારા ધરપકડ કરાય હતી.

Tags:    

Similar News