અમરેલી : હરિકૃષ્ણ સરોવર ખાતે એવું તો શું બન્યું કે લોકટોળા ઉમટી પડયાં, જુઓ શું છે ઘટના

Update: 2020-01-04 11:10 GMT

સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધીજીનું નામ માન અને સન્માન સાથે લેવામાં આવે છે પણ તેમની જન્મભુમિ ગુજરાતમાં જ તેમનું અપમાન કરવામાં આવતું હોય તેવી ઘટના અમરેલી જિલ્લાના લાઠીમાં સામે આવી છે.

લાઠીના અકાળા રોડ પર આવેલા હરિકૃષ્ણ સરોવર ખાતે બ્યુટીફિકેશ માટે લગાવવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને અસામાજીક તત્વોએ તોડી નાંખતા જન આક્રોશ જોવા મળી રહયો છે. ધોળકીયા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના સહકારથી બનેલું હરિકૃષ્ણ સરોવર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહયું છે. સરોવરના કિનારે..દેવી-દેવતાઓની મુર્તીઓ તેમજ રાષ્ટ્રીય પુરુષોના સ્ટેચ્યુ લગાવવામાં આવ્યા છે. અસામાજિક તત્વોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવામાં આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.

ઘટનાની જાણ થયાં બાદ લાઠી ગામના આગેવાનો અને લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી આરોપીઓ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. છાશવારે પ્રતિમાઓ ખંડિત કરાતી હોવાથી તેમણે રોષ વ્યકત કર્યો હતો.

રાષ્ટ્રપિતાના અપમાનને પગલે પંથકમાં જન આક્રોશ જોવા મળી રહયો છે ત્યારે પોલીસ પણ આરોપીઓને ઝડપી પાડવા દોડધામ કરી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ટીમ બનાવી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આવી ઘટનાઓ રોકવા પુરતાં પગલાં ભરવાની ખાતરી પણ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવી છે.

Similar News