અંકલેશ્વરના સજોદ ગામના ધરતીપુત્રો પરંપરાગત ખેતી છોડી અવનવા ફૂલની ખેતી તરફ કૂચ આરંભી

Update: 2018-12-10 07:54 GMT

જરબેરાના ફૂલની ખેતી બાદ ગુજરાતમાં પ્રથમ વખત જીપ્સોફિલા ફૂલની ખેતીનો સફળ પ્રયોગ કર્યો.

ડેકોરેશન માટે ઉપયોગમાં આવતા જીપ્સોફિલા ફૂલની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું.

અંકલેશ્વરના સજોદ ગામના ધરતીપુત્રોએ પરંપરાગત ખેતી છોડી અવનવા ફૂલની ખેતી શરુ કરી છે અને ડેકોરેશન માટે ઉપયોગમાં આવતા જીપ્સોફિલા ફૂલની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે.

અંકલેશ્વર પંથકના ધરતીપુત્રો હવે શેરડી, કપાસ અને શાકભાજીની ખેતી છોડી ફૂલની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. અંકલેશ્વર અને ઝઘડિયા પંથકમાં ગલાડીયાના ફૂલની ખેતી બાદ હવે ડેકોરેશન માટે ઉપયોગમાં લેવાતા ફૂલની ખેતીનો ધરતીપુત્રો પ્રયાસ કરી રહ્યા છે.

સજોદ ગામના ખેડૂત કિરણ પ્રજાપતિ અને નીલેશ પ્રજાપતિ દ્વારા જીપ્સોફિલા નામના ફૂલની ખેતી કરવામાં આવી છે. અડધા વીંઘામાં જીપ્સોફિલા ફૂલનું વાવેતર કરવામાં આવ્યું છે. જીપ્સોફિલાના છોડ તેઓ દ્વારા પુના ખાતેના એક ગ્રીન હાઉસમાંથી લાવવામાં આવ્યા હતા. આ ફૂલનો એક છોડ ૪૦ રૂપિયાનો હોય છે અને તેના ઉત્પાદન બાદ તે બજારમાં ૬૦ રૂપિયાથી લઇ ૨૦૦ રૂપિયા સુધી વેચાય છે.

૩ વર્ષ સુધી ચાલતા પાકમાં એક વર્ષમાં ૪ વખત ઉત્પાદન લઇ શકાય છે જીપ્સોફિલા ફૂલનો ડેકોરેશનમાં મહત્તમ ઉપયોગ થાય છે આથી લગ્ન સીઝનમાં તેની માંગ વધુ રહે છે. સજોદ ગામના બંને ધરતીપુત્રોએ આ અગાઉ જરબેરાના ફૂલની ખેતી કરી હતી. ત્યાર બાદ ગુજરાતમાં પ્રથમ વખત જીપ્સોફિલા ફૂલની ખેતી કરી આધુનિક ખેતીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Similar News