ભરૂચ : રવિવારી બજારમાં ઉમટી ભીડ, કેટલાય લોકો માસ્ક વિના ખરીદી માટે નીકળ્યાં
ભરૂચ ના કતોપોર બજારમાં ભરાતાં રવિવારી બજારમાં લોકોની ભીડના કારણે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય ઉપરાંત કેટલાય લોકો માસ્ક વિના ખરીદી માટે નીકળતાં હોવાથી કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધ્યો છે.
ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની સંખ્યા સતત વધી રહી છે છતાં પણ ભરૂચના બજારો ધમધમી રહ્યા છે. સરકારે પણ સરકારની કોવિડ- ૧૯ ના નીતિ નિયમો બનાવી કેટલાક વેપાર-ધંધા શરૂ કરવાની પરવાનગી આપી છે પરંતુ કેટલાય બજારોમાં સરકારના નીતિનિયમો ના ધજાગરા ઊડી રહ્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કતોપોર બજાર ખાતે રવિવારી બજાર યોજાઈ રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે જેના કારણે કેટલાય લોકો માસ્ક વિનાના પણ જોવા મળી રહ્યા છે તદુપરાંત સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાતું હોવાનું જોવા મળી રહયું છે.રવિવારી બજાર નજીક પોલીસ ચોકી હોવા છતાં પોલીસ કર્મીઓ પણ કાયદાનું પાલન કરાવવામાં રસ ન હોય તેમ લાગી રહયું છે. ગત રવિવારે પણ બજારમાં ભીડ ઉમટી પડતાં બજાર બંધ કરાવાયું હતું.