ભરૂચ : કોવિડ હોસ્પિટલોમાં અચાનક પહોંચી ફાયર વિભાગની ટીમ, જુઓ શું છે કારણ

Update: 2020-08-06 10:11 GMT

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં 8 લોકોના મોત ની ઘટનાના પગલે ભરૂચમાં તંત્ર સફાળું જાગ્યું હતું. નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે કોવીડના ઇલાજ માટે નકકી કરાયેલી હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે લેવાયેલા પગલાંઓની તપાસ કરી હતી.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલ માં ભીષણ આગ લાગતા કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીઓના મોત નીપજયાં હતાં. પ્રાથમિક તપાસમાં શ્રેય હોસ્પિટલ પાસે ફાયર વિભાગની એનઓસી નહિ હોવાની વિગતો સપાટી પર આવી છે. રાજયમાં ફાયર સેફટીનો કાયદો અમલમાં હોવા છતાં અમદાવાદની ઘટનામાં કયાં ચુક થઇ તે મોટો સવાલ છે. અમદાવાદમાં બનેલી ઘટના બાદ ભરૂચમાં તંત્ર એકશનમાં આવી ગયું હતું. નગરપાલિકાના ફાયર વિભાગની ટીમોએ કોવીડના ઇલાજ માટે નકકી કરવામાં આવેલી હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે શું પગલાં ભરવામાં આવ્યાં છે તેની તપાસ હાથ ધરી હતી. હોસ્પિટલોમાં લગાડવામાં આવેલાં ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે કેમ તેની પણ તપાસ કરાય હતી. બીજી તરફ જિલ્લા કલેકટર એમ.ડી. મોડીયાએ તમામ કોવીડ હોસ્પિટલોને ફાયર સેફટીનું ઓડીટ કરાવી રીપોર્ટ મોકલવા આદેશ કર્યો છે. 

Tags:    

Similar News