ભરૂચ : ગેલાની કુવા પાસેની ઝૂંપડપટ્ટી દુર કરવા તંત્રની હિલચાલ, સ્થાનિકોનો કલેકટર કચેરીએ હલ્લો

Update: 2020-02-29 08:28 GMT

ભરૂચ શહેરના મહંમદપુરા વિસ્તારમાં ગેલાની કુવા પાસે આવેલી ઝૂંપડપટ્ટી દુર કરવાની તંત્રએ હિલચાલ શરૂ કરતાં સ્થાનિક રહીશોએ કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું.

ભરૂચના ગેલાનીકુવા વિસ્તારમાં આવેલી જગ્યામાં ગરીબ પરિવારો છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી કાચા મકાનો અને ઝૂંપડાઓ બનાવી વસવાટ કરી રહયાં છે પણ હવે તેમના માથેથી છત છીનવાય જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મામલતદાર કચેરી તરફથી તમામ મકાનધારકોને દબાણો દુર કરી દેવાની નોટીસ આપવામાં આવી છે.

શનિવારના રોજ સ્થાનિક નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાની આગેવાનીમાં ઝૂંપડાવાસીઓ કલેકટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં અને તંત્રવાહકોને રજુઆત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર વહીવટીતંત્રએ તેમને દબાણો દુર કરી દેવા નોટીસ આપી છે જેના પગલે તેઓ ઘરવિહોણા બની જશે. સરકાર તરફથી રહેણાંક માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દબાણો દુર કરવામાં ન આવે તેવી માંગણી કરવામાં આવી છે. તે પહેલા જો દબાણો દુર કરાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ રહીશોએ ઉચ્ચારી છે.

Similar News