ભરૂચ: ઝઘડીયાના વણાકપોર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત

વણાકપોર પ્રાંકડ વચ્ચે કોઇ અજાણ્યા વાહનચાલકે આ યુવકની મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.

Update: 2023-06-28 10:37 GMT

ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભાલોદ જવાના માર્ગ પર વણાકપોર અને પ્રાંકડ ગામો વચ્ચે કોઇ અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતા એક મોટરસાયકલ ચાલક ૨૧ વર્ષીય યુવકનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. ઝઘડીયાના રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામનો સુખદેવ મણિલાલ વસાવા નામનો યુવક ગતરોજ તા.૨૭ મીના રોજ બપોરના એક વાગ્યાના અરસામાં ઝઘડિયા સેવારૂરલ દવાખાનામાં કોઇ કામ માટે ગયો હતો. ત્યારબાદ ભાલોદ જઇને બેન્કનું કામ પતાવીને ઘરે પાછો આવતો હતો ત્યારે તે દરમિયાન વણાકપોર પ્રાંકડ વચ્ચે કોઇ અજાણ્યા વાહનચાલકે આ યુવકની મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.


સાંજના સાડા પાંચના અરસામાં યુવકના પરિવારજનોને અકસ્માતની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં સુખદેવ માથામાં તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તે બેભાન થઇ ગયેલ હોવાનું જણાયું હતું. યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મરણ પામેલ જાહેર કર્યો હતો. અકસ્માત સંદર્ભે મૃતકના પિતા મણિલાલ ખોડાભાઇ વસાવા રહે.ગામ વઢવાણા, તા.ઝઘડિયા,જિ.ભરૂચનાએ અકસ્માત સર્જી પોતાનું વાહન લઇને નાશી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી અકસ્માત બાદ નાશી ગયેલ અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા જરુરી તપાસ હાથ ધરી હતી.

Tags:    

Similar News