ભરૂચ : લાકડા વીણવા ગયેલી સગીરાનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મ બાદ હત્યાની પ્રબળ આશંકા

ભરૂચના એક ગામમાં રેપ વીથ મર્ડરનો કથિત કિસ્સો સામે આવ્યો છે. હજુ તો સુરત અને ગાંધીનગરના દુષ્કર્મની ઘટનાની શાહી સુકાય નથી

Update: 2021-11-09 10:56 GMT

રાજયમાં સુરત અને ગાંધીનગરના દુષ્કર્મની ઘટનાની શાહી સુકાય નથી ત્યાં ભરૂચના એક ગામમાં રેપ વીથ મર્ડરનો કથિત કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં મૃતદેહને સુરત ખસેડવા માટે એમ્બયુલન્સના બદલે ખાનગી વાહન ફાળવવામાં આવતાં પરિવારજનોએ રોષ વ્યકત કર્યો છે....

આમોદ તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરા ગઇકાલે લાકડા વીણવા માટે ગઇ હતી. બપોરના સમયે તે લાકડાનો એક ભારો લાવી તેના ઘરે નાંખી બીજો ભારો લેવા ગઇ હતી. લાંબો સમય વીતી જવા છતાં સગીરા ઘરે પાછી નહિ ફરતા તેનો પરિવાર તેને શોધવા માટે નીકળ્યો હતો દરમિયાન એક ખેતરમાંથી સગીરાનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સગીરાના મૃતદેહને સમની ખાતે ખસેડાયો હતો. ગઇકાલે રાત્રિના 10 વાગ્યાના અરસામાં તેના મૃતદેહને સમની ખાતે લવાયો હતો જયાં તબીબોએ પોસ્ટમોર્ટમ અને એફએસએલની તપાસ માટે મૃતદેહને સુરત ખાતે ખસેડવા જણાવ્યું હતું. હોસ્પિટલ પ્રશાસન અને પોલીસ વિભાગની બેદરકારીના કારણે સગીરાનો મૃતદેહ કલાકો સુધી દવાખાનામાં જ પડી રહયો અને મૃતદેહને સુરત ખસેડવા માટે એમ્બયુલન્સના બદલે ખાનગી વાહન ફાળવવામાં આવ્યું.. આ ઘટનાથી સગીરાનો પરિવાર સમસમી ઉઠયો હતો.

એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી અકાળે ગુમાવી દીધી છે. એક તરફ પરિવાર શોકમાં ગરકાવ છે તેવામાં તંત્રની ઘોર લાપરવાહીએ પરિવારને પડતાં પર પાટુ માર્યું હોય તેમ લાગી રહયું છે. હોસ્પિટલ પ્રશાસન અને પોલીસ વિભાગ કયાંકને કયાંક માનવતા ચુકી ગયું હોય તેમ લાગી રહયું છે. મૃતકની માતાની વાતને સાચી માનીએ તો તેની દીકરીનો મૃતદેહ મળ્યો ત્યારે તે અર્ધનગ્ન હાલતમાં હતી જેથી સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હોય તેવી પ્રબળ સંભાવના છે...

Tags:    

Similar News