ભરૂચ: ઝઘડિયાના ધોલીડેમમાં ડુબી જવાથી વણખુટા ગામની બે કિશોરીઓના મોત
બે છોકરીઓના મૃતદેહ પડેલા હોવાની જાણ થતાં ત્યાં જઇને જોતા આ મૃતદેહ ધોલીડેમ પર કપડા ધોવા ગયેલ વણખુટા ગામની છોકરીઓના હોવાનું જાણવા મળ્યું હતું
ભરુચ જીલ્લાના ઉમલ્લા પોલીસ મથકની હદના વણખુટા ગામની બે કિશોરીઓના ધોલીડેમમાં ડુબી જતા મોત નીપજ્યા હતા. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ વણખુટા ગામે રહેતી અંજનાબેન વસાવા ઉ.વર્ષ ૧૭ અને શિલ્પાબેન સાવા ઉ.વર્ષ ૧૨ ગતરોજ તા.૫ મીના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ધોલીડેમ ખાતે કપડા ધોવા ગયા હતા ત્યારબાદ આ બન્ને છોકરીઓ સમય વિતવા છતાં ઘરે પહોંચી ન હતી..
જેથી તેમના પરિવારજનોએ તેમની શોધખોળ આરંભી હતી. દરમિયાન ધોલીડેમના કિનારા પર કોઇ બે છોકરીઓના મૃતદેહ પડેલા હોવાની જાણ થતાં ત્યાં જઇને જોતા આ મૃતદેહ ધોલીડેમ પર કપડા ધોવા ગયેલ વણખુટા ગામની અંજના અને શિલ્પાના હોવાનું જણાયું હતું.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી