દાહોદ : શરીરથી લાચારોની સરકારથી ગુહાર, માત્ર ૬૦૦ રૂપિયાથી નથી ચાલતું ઘર!
દિવ્યાંગોને મળતું માત્ર 600 રૂપિયા પેન્શન સરકાર દ્વારા વધારો કરી રૂપિયા 3થી 5 હજાર સુધી આપવામાં આવે તેમજ દિવ્યાંગોના બાળકોને ખાનગી શાળામાં ફી પણ ચૂકવાય તેવી માંગ સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું.
દાહોદના છાપરી ખાતે આવેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ નજીકથી દાહોદ જિલ્લાના દિવ્યાંગ ભાઈ-બહેનો અને બાળકો ભેગા થઈ દિવ્યાંગ સેવા ટ્રસ્ટની આગેવાનીમાં એક વિશાળ રેલી યોજી હતી. તમામ દિવ્યાંગોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને સરકાર દ્વારા પેન્શન યોજના હેઠળ દર મહિને માત્ર 600 રૂપિયા આપવાની યોજના છે, તેમાં દિવ્યાંગ પેન્શનધારોને પેન્શનમાં વધારો કરી દર મહિને રૂપિયા 3થી 5 હજાર સુધી કરવામાં આવે તેમજ દિવ્યાંગોને સરકારની વિવિધ યોજનાઓ થકી અનુરૂપ કામ આપવામાં આવે જેથી રોજગારી મેળવી શકે. ઉપરાંત પ્રાઇવેટ શાળામા દિવ્યાંગોના બાળકોને ભણવા માટે સરકાર દ્વારા ફી પણ ચૂકવવામાં આવે તેવી માંગો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં દિવ્યાંગોએ ઉપસ્થિત રહી આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.